ભરૂચ,
ભરૂચ શહેરમાં ઓટોરિક્ષા ચાલકની ઈમાનદારી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. ગત મંગળવારે પાંચબત્તી વિસ્તારમાં આવેલા મિલેનિયમ માર્કેટ પાસેથી એક મુસાફર ઓટોરિક્ષામાં બેસી ઝાડેશ્વર રોડ પર ગયા હતા. ઓટોરિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને અચાનક યાદ આવ્યું કે ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિતનું પાકીટ ઓટોરિક્ષામાં જ રહી ગયું હતું. ત્યારબાદ મુસાફરે જય ભારત ઓટોરિક્ષા એસોસિએશનના પ્રમુખ આબીદબેગ મિર્ઝાનો સંપર્ક કરી સમગ્ર હકીકત જણાવી હતી. આબીદબેગ મિર્ઝાએ મુસાફરની મદદ માટે “પાકીટ ઓટોરિક્ષામાં રહી ગયું” હોવાની માહિતીનો વીડિયો બનાવી ઓટોરિક્ષા ચાલકોના વોટ્સએપ ગ્રુપમાં મૂક્યો હતો.
વીડિયો મળ્યા બાદ સંબંધિત ઓટોરિક્ષા ચાલકે પોતાની રિક્ષામાં શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન સીટના પાછળના ભાગેથી લેડીઝ પાકીટ મળી આવ્યું હતું. ચાલક જંબુસર બાયપાસના રહીશ અને ઓટોરિક્ષા ચોક શોએબ પટેલે તાત્કાલિક એસોસિએશનના પ્રમુખનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ પાકીટ એ ડિવિઝન પોલીસ મથકમાં હવાલે કરી મુસાફરને પરત સોંપવામાં આવ્યું હતું. ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિતનું પોતાનું પાકીટ સહીસલામત પરત મળતા મુસાફરે રાહતનો શ્વાસ લીધો હતો અને ઓટોરિક્ષા ચાલક તથા એસોસિએશનના પ્રમુખનો આભાર માન્યો હતો. સામાન્ય આવક ધરાવતા અને ઓટોરિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા ચાલકે લાલચને બદલે ઈમાનદારીને કૌટુંબિક સંસ્કાર ગણતા લોકોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી. ઘટનાએ સાબિત કર્યું છે કે આજના સમયમાં પણ સામાન્ય માણસની ઈમાનદારી અને માનવતા જીવંત છે.




