– બિનઆધારિત આક્ષેપો દ્વારા સંગઠનની બદનામી કરવાનો પ્રયાસ નો આક્ષેપ કરી વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર પાઠવ્યું
ભરૂચ,
જેટકો કંપનીમાં કરવામાં આવેલ પી.એ ૧ ની ભરતીમાં અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ સામે યુવરાજસિંહ જાડેજા દ્વારા પાયાવિહોણા ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા તેઓ સામે ત્વરિત અસરથી ગુનો દાખલ કરી સખ્ત કાર્યવાહી કરવા કલેક્ટર અને જિલ્લા પોલીસવડાને રજૂઆત કરવામાં આવી હતી.
૨૦૧૭ થી જેટકો કંપનીમાં પી.ઓ ૧ ની જગ્યાઓ ખૂબ જ લાંબા સમયથી ખાલી રહેલ અને સદર જગ્યાઓ ભરવા સબબ નામદાર હાઈકોટમાં કેસ લાંબા સમયથી ચાલી રહ્યો હતો.જેનો નિવેડો આવે તેવી શક્યતાઓ ન હોવાથી જેટકો કંપનીની ફિલ્ડની પરિસ્થિતી અને સંઘના સભ્યો જેઓ કર્મચારીઓ હોય તેમની પરિસ્થિતી ખરાબ હોય કર્મચારી પોતાનું સામાજિક અને પારિવારિક જીવન પણ જીવી શકતો નથી અને એનું પારિવારિક જીવન નર્ક થી પણ બત્તર બની ગયેલ તથા પી.ઓ ૧ ની જગ્યાઓ ચાર્જમાં ૧૬ થી ૨૪-૨૪ કલાક નોકરી કરવાની ફરજ પડી રહેલ હોવાની અનેક ફરિયાદો મળેલ જેને આધારે સંઘ દ્વારા આંદોલનની નોટિસ પણ આપેલ અને સંઘ દ્વારા જેટકો મેનેજમેંટ સમક્ષ વારંવાર રજૂઆત કરતાં જેટકો કંપની દ્વારા પી.ઓ ૧ ની જગ્યાઓ સામે પી.એ ૧ ની સમાન શૈક્ષણિક લાયકાત ધરાવતા કર્મચારીઓની ભરતી કરવાનું બોર્ડ ઓફ ડિરેક્ટરની મંજૂરી બાદ સમગ્ર ભરતી પ્રક્રિયા કરેલ અને સરકાર દ્વારા સંજોગોવસાત સદર ભરતી પ્રક્રિયા રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવેલ.જે ભરતી પ્રક્રિયામાં સંઘ દ્વારા કે સંઘના કોઈ પણ સભ્ય કે હોદ્દેદાર દ્વારા કોઈપણ જાતનો હસ્તક્ષેપ કરેલ ન હોવા છતાં યુવરાજસિંહ જાડેજા દ્વારા એક પત્રકાર પરિષદ યોજી ઉર્જા વિભાગની જેટકો કંપનીમાં પ્લાન્ટ અટેન્ડન્ટ ગ્રેડ-૧ ની ભરતી પ્રક્રિયામાં જેટકોના તત્કાલીન ઈન્ચાર્જ જનરલ મેનેજર (એચ.આર.) તેમજ અન્ય અધિકારીઓ સાથે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ (એજીવીકેએસ) ની કથિત મિલી ભગતમાં સદર જગ્યાઓ માટે ગેરરીતિ કરી હોવાનો તેમના જાહેર સ્ટેટમેન્ટમાં તથ્યો પુરાવા વગરની બેબુનિયાદ આરોપ લગાડવામાં આવતા ગુજરાત વિદ્યુત કામદાર સંઘન કમૅચારીઓ દ્વારા ભરૂચ કલેક્ટર અને જીલ્લા પોલીસવડાને રજૂઆત કરી હતી.
ઉર્જા વિભાગની સાતેય કંપનીમાં સૌથી વધુ ૩૫૦૦૦ કર્મચારીઓની સભ્ય સંખ્યા ધરાવતા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ પરિવાર વિરુધ્ધ તદ્દન ખોટા આરોપો લગાડી બ્લેકમેઈલીંગ કરવાનું હીન કૃત્ય કરવામાં આવ્યુ છે.જેને અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ પરિવાર ના સભ્યો / હોદેદારો કે કર્મચારીઓ કોઈપણ સંજોગોમાં સાંખી લેશે નહીં.તેમજ યુવરાજસિંહ દ્વારા સંઘ પર લગાડેલ આરોપો તદ્દન જુઠ્ઠા અને તથ્ય પુરાવા વિહિન હોય આ આરોપો બ્લેકમેઈલિંગ કરવા જેવી બદદાનતથી લગાડેલા હોય તેવું સીધું સાબિત થાય છે.આવા તથ્ય પુરાવા વિહિન આરોપો સંઘને અને સંઘના ઉચ્ચ હોદ્દેદારોને બદનામ કરવા ભૂતકાળમાં પણ આવા પાયાવિહોણા આરોપ લગાડવામાં આવેલ છે.જેથી ગુનો નોંધી અટકાયત કરવાની માંગ કરી હતી અને જો અટકાયત નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.




