(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ચોમાસું એટલે તહેવારો અને મેળાઓની મોસમ ! સામાન્યરીતે ચોમાસામાં વર્ષના મોટાભાગના તહેવારો આવતા હોય છે તેમજ વિવિધ ધાર્મિક સ્થળોએ મેળાઓના પણ આયોજન થતા હોય છે.
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક આવેલ સારસા માતાના ડુંગરનો ભવ્ય મેળો આજે ભરાયો હતો.દરવર્ષે ભાદરવા સુદ પાંચમ એટલે કે સમા પાંચમના દિવસે સારસા ડુંગરે ભવ્ય મેળો ભરાય છે.આ મેળો રાજપારડી નગરથી લઈને સારસા માતાના મંદિર સુધી વિસ્તરે છે.રાજપારડી નગરના ચાર રસ્તા વિસ્તારમાં મેળો ભરાય છે.જેમાં રમકડા, પ્લાસ્ટિક વસ્તુઓ, સ્ત્રી શ્રુંગારની વસ્તુઓ તેમજ અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓના સ્ટોલ વેપારીઓ દ્વારા ઉભા કરવામાં આવે છે.ઝઘડીયા,વાલિયા અને નેત્રંગ તાલુકાઓ સહિત નર્મદા જિલ્લાના તેમજ ભરૂચ જિલ્લાના અન્ય વિસ્તારો માંથી મેળામાં મોટી જનમેદની ઉમટે છે.રાજપારડી નજીકના સારસા ગામનું નામ સારસા માતાના નામ પરથી પડ્યું હોવાનું કહેવાય છે.આજે રાજપારડી નગર તેમજ સારસા માતાના મંદિર વિસ્તારમાં ભવ્ય મેળો ભરાયો હતો.સારસા ડુંગર ઉપર સારસા માતાનું મંદિર હોવા ઉપરાંત રાજપારડીથી થોડે દુર પણ સારસા માતાનું મંદિર આવેલું છે.આજે ભરાયેલ મેળા માં ઠેરઠેરથી લોકો મોટી સંખ્યામાં આવ્યા હતા,જોકે બપોર બાદ વરસાદી માહોલ વચ્ચે વરસાદ શરૂ થયો હતો,છતાં વરસાદી માહોલ વચ્ચે લોકોએ મેળાની ભરપૂર મોજ માણી હતી.




