ભરૂચ,
ભરૂચ તાલુકાના દયાદરા અને કેલોદ ગામને જોડતા માર્ગ પર આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો.જેમાં બે બાઈક સામસામે ધડાકાભેર અથડાતાં બે યુવકોએ જીવ ગુમાવ્યો છે.અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈકના કચ્ચરઘાણ નીકળી ગયા હતા અને ઘટના સ્થળે લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. જેને કારણે ટ્રાફિકજામ પણ સર્જાયો હતો.બંને બાઈક ચાલકો પોત પોતાની દિશામાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક કોઈ કારણોસર દયાદરા અને કેલોદ વચ્ચેના રોડ પર સામસામે ભટકાયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે બંને ચાલકો બાઈક પરથી ફંગોળાઈને દૂર પટકાયા હતા.આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાને કારણે બંને યુવકોના ઘટના સ્થળે જ કરુણ મોત થયા હતા.
મૃતકો માંથી એક યુવક આછોદ ગામનો હોવાનું અને બીજો યુવક કેલોદ ગામનો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.જોકે તેમના નામ અને અન્ય વિગતો હજુ સુધી સત્તાવાર રીતે સામે આવી આવી નથી.ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો અને રાહદારીઓ મોટી સંખ્યામાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા.જેના કારણે રોડ પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી.તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી આવી હતી.108ની ટીમે મૃતકોને તપાસીને તેમને મૃત જાહેર કર્યા હતા.મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ શરૂ કરી હતી.




