ભરૂચ,
માં આધ્ય શક્તિના આરાધના પર્વ નવરાત્રીને ગણતરીના દિવસ જ બાકી છે.ત્યારે ભરૂચ ફાયર વિભાગ દ્વારા ગરબા આયોજકોએ પરમીશન માટે તાકીદ કરી ગાઈડ લાઈન મુજબના સુરક્ષાના 32 મુદ્દાના પાલન માટે અપીલ કરવામાં આવી છે.
માં આધ્ય શક્તિના આરાધના પર્વ નવરાત્રીની ભરૂચ શહેર અને જીલ્લામાં મોટા પાયે ઉજવણી કરવામાં આવે છે.ત્યારે ભરૂચ શહેરમાં આઠેક સ્થળે સોસાયટીઓ તેમજ પાર્ટી પ્લોટો પર ઉજવણી થનાર છે.જ્યાં સેફ્ટી ધ્યાને રાખી તેઓએ ફાયર NOC, પાર્કીંગ,એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ,સીસીટીવી કેમેરા,મહિલા સુરક્ષા સહિતના 32 મુદ્દાઓના પાલન સાથે સરકારી ગાઈડ લાઈન મુજબ પ્રથમ પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરી મંજૂરી લેવાની રહે છે.ત્યારે ભરૂચ પાલિકા ફાયર વિભાગ દ્વારા તમામને નોટિસ આપી ઓનલાઈન મંજૂરી મેળવવા સાથે ગાઈડ લાઈનનું પાલન કરવા તાકીદ કરી છે.જો કે હજુ સુધી માત્ર ૩ ગરબા આયોજકો દ્વારા મંજૂરી માટેની માંગણી કરવામાં આવી હોવાનું ઈન્ચાર્જ ફાયર ઓફિસર શૈલેષ સાંસિયાએ જણાવવા સાથે બાકી રહેલા આયોજકોને સુરક્ષાના મુદ્દાઓ સાથેની જાણ કરી તે મુજબની વ્યવસ્થા ઉભી કરી ઓનલાઈન મંજૂરી લઈ લેવા તાકીદ કરી છે અને જો મંજૂરી નહીં લેવામાં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે.
ગરબા આયોજકો ગરબા ગ્રાઉન્ડની સજાવટ અને વ્યવસ્થામાં વ્યસ્ત બન્યા છે.ત્યારે ગાઈડ લાઈન મુજબની સુવિધાની વિગતો સાથે અરજી મળ્યા બાદ ફાયર વિભાગ દ્વારા ગરબા ગ્રાઉન્ડ પર જઈને ઈન્સ્પેક્શન કરીને NOC અંગેના અહેવાલ આપવામાં આવશે.







