ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે શ્રી ખોડલધામ મંદિરની મુલાકાત લીધી

SHARE:

રાજકોટ,
નવલા નોરતા ચાલી રહ્યા છે ત્યારે ઉત્તર પ્રદેશના મહામહિમ રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે 28 સપ્ટેમ્બર ને શનિવારના રોજ સંત-શૂરાની ભૂમિ સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ કાગવડ સ્થિત શ્રી ખોડલધામ મંદિરની મુલાકાત લીધી હતી. તેમની સાથે તેમના દીકરી અને ટ્રસ્ટી અનારબેન પટેલ પણ જોડાયા હતા.સાથે જ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ પણ આજરોજ શ્રી ખોડલધામ મંદિરે માં ખોડલના દર્શન કર્યા હતા.આ પ્રસંગે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશ પટેલ સહિતના આગેવાનોએ તેમને ઉષ્માભેર આવકાર્યા હતા.
મહામહિમ રાજ્યપાલ આનંદીબેન પટેલે મા ખોડલના ભવ્ય મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.તેમણે સમાજ અને રાષ્ટ્રની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. મંદિર પરિસરમાં તેમણે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓની જાણકારી મેળવી હતી અને તેની સરાહના કરી હતી.
આ મુલાકાત દરમ્યાન મહામહિમ રાજ્યપાલ આનંદીબેન પટેલ અને તેમના દીકરી અનારબેન પટેલના હસ્તે માતાજીના મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવાનો પવિત્ર લ્હાવો પણ લેવામાં આવ્યો હતો.વૈદિક મંત્રોચ્ચાર અને માં ખોડલના જયઘોષ વચ્ચે તેમણે મા ખોડલની ધ્વજા ચડાવી હતી.
શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશ પટેલે મહામહિમ રાજ્યપાલની આ મુલાકાતને પ્રેરણાદાયી ગણાવી હતી.તેમણે ટ્રસ્ટની ભાવિ યોજનાઓ અને સામાજિક કાર્યો અંગે આનંદીબેન પટેલ સાથે ચર્ચા-વિચારણા કરી હતી.આ પ્રસંગે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના અન્ય ટ્રસ્ટીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ ઉપસ્થિત રહ્યા હતા

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!