ભરૂચ,
કોઈ વ્યક્તિ ૬૦ ટકા કરતા વધુ દાઝી જાય તો તેના જીવિત રહેવાની સંભાવના નહિવત હોય છે.પરંતુ વડોદરા શહેરની BAPS શાસ્ત્રીજી હોસ્પિટલ ખાતે ૫ મહિના પહેલા મૂળ ડાકોરના અને હાલ અંકલેશ્વરમાં રહેતા પંકજ પટેલ દહેજની ખાનગી કંપનીમાં અકસ્માતમાં ૯૬ ટકા બળી ગયેલ હાલતમાં દાખલ થયા હતા.હોસ્પિટલના તબીબોની ૪ મહિનાની સઘન સારવાર અને વ્યક્તિગત દેખરેખના પરિપાકરૂપે તેઓ તંદુરસ્ત થઈ જતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.આજે તેઓ ફરી તબીબોને બતાવવા તથા હોસ્પિટલના તમામનો આભાર વ્યક્ત કરવા આવ્યા ત્યારે તેઓએ પોતાના જીવિત હોવાના ચમત્કાર નો સાક્ષાત્કાર કરી દવા અને દુઆની સાથે સમગ્ર કર્મચારી ગણ પ્રત્યે આભાર વ્યકત કર્યો હતો.
૪૧ વર્ષીય દર્દી પંકજભાઈ પટેલે જણાવ્યું હતું કે ૫ મહિના પહેલા મારી સાથે એવું થયું હતું કે હું દહેજની ખાનગીમાં ફરજ પર હતો.જ્યાં સવારે ૫:૩૦ વાગે રીએકશન સમયે બ્લાસ્ટ થતા આગ લાગી હતી અને એ આગના ગોળાની ચપેટમાં હું આવી ગયો હતો.મારું ૯૬ ટકા શરીર બળી ગયું હતું. હું ત્રીજા માળે હતો ત્યાંથી મને નીચે લાવવામાં આવ્યો હતો અને મને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સરવાર માટે ખસેડાયો હતો.ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ મને વડોદરાની BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોની ટીમે મારી સારવાર શરૂ કરી હતી.
ડોક્ટરની ટીમની સારી સારવારને કારણે 4 મહિના બાદ હું સ્વસ્થ થઈ ગયો છું.હું બચી શકો એવી સ્થિતિમાં નહોતો તેમ છતાં અહીંના ડોક્ટરોએ સારી સારવાર આપીને મને નવજીવન આપ્યું છે.હું સત્સંગી હોવાથી હંમેશા પોઝીટીવ હતો કે ભગવાન સારું જ કરશે.જેના કારણે મને હિંમત રહેતી હતી.તેઓએ ઉમેર્યું હતું કે, એ દિવસો મારા માટે ખૂબ ક્રિટિકલ હતા.આ પરિવારમાં એકનો એક દીકરો હોવાથી મારો પરિવાર મારી ચિંતા કર્યા કરતો હતો મને મારા પરિવારની પણ ચિંતા થતી હતી.કારણ કે મારી પત્ની મેં બાળકો અને માતા પિતા માટે હું આધાર સમાન છું.મારી બંને બહેનોનો પણ મને ખૂબ જ સપોર્ટ મળ્યો હતો.તેઓ સતત હોસ્પિટલમાં ખડેપગે રહેતા હતા.ભગવાને મને નવું જીવન આપ્યું છે ત્યારે હવે બાળ કાર્યકર તરીકે વધારે શક્તિથી કામ કરીશું. બાળકોને સત્સંગી અને સંસ્કારી બનાવવાના પ્રયાસ કરીશ. મારી હોસ્પિટલની તસ્વીર સંતોના માધ્યમથી મહંત સ્વામી પાસે પહોંચી ગઈ હતી, જેથી મહંત સ્વામી અમારી તસવીર જોઈને કહ્યું હતું કે, ચિંતા ના કરશો સારું થઈ જશે. એમના આ શબ્દો સાચા પડ્યા છે.
BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલમાં પ્લાસ્ટિક સર્જન તરીકે ફરજ બજાવતા ડૉ.ગુંજન પટેલે જણાવ્યું હતું કે, પંકજભાઈ ખૂબ ક્રિટિકલ કન્ડિશનમાં અહીં આવ્યા હતા.જ્યાં એમનું શરીર ૯૬ ટકા જેટલું દાઝી ગયેલું હતું.બધા ડોક્ટરો અને બધા સ્ટાફની અને હોસ્પિટલના દરેક મેમ્બરની અથાક પ્રયત્નોથી અને ભગવાનના આશીર્વાદથી અને પંકજભાઈના મનોબળથી આજે તેઓ સારા થઈને ઘરે ગયા છે એ વાતનો અમને ખૂબ આનંદ છે.આ એક ટીમવર્ક છે અને પંકજભાઈ જેવા ઘણા બધા દર્દીઓને અમે ભવિષ્યમાં પણ સારા કરવાની આશા રાખીએ છીએ.
BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલના CEO ડૉ.સમીર બ્રહ્મભટ્ટ એ જણાવ્યું હતું કે, પંકજભાઈ અમારે ત્યાં ૯૬ ટકા બર્ન્સ દર્દી તરીકે દાખલ થયા હતા. એ કંપનીની અંદર અકસ્માતથી એમને ઈજા થઈ હતી અને અમારે ત્યાં આગળ એમને શિફ્ટ કરવામાં આવ્યા હતા.એ પછીથી એમની જે સારવાર એ અમારે ત્યાં થઈ હતી અને જે રિકવરી આવી છે. એમનું પોતાનું મનોબળ,ડોક્ટરોની જે છ ડોક્ટરની ટીમ દ્વારા થયેલી સારવાર, ઓપરેશન થિયેટર સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, સપોર્ટ સર્વિસીસ, ડાયટ ડિપાર્ટમેન્ટ અને ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ, આ બધાના સહયોગથી તેઓ સજા થઈને આજે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ગયા છે અને ફોલોઅપમાં પણ અત્યારે આવે છે.તો એ સમયે એક આ એક જાણ થવી જરૂરી છે કે આવા અત્યંત ગંભીર પરિસ્થિતિમાં દાઝેલ દર્દીએ પણ અમારી હોસ્પિટલમાંથી સાજા થઈને ગયા છે.




