– ભરૂચમાં ૩૦૦ થી વધુ ભૂદેવોએ રાસ-ગરબાની રમઝટ માણી
ભરૂચ,
શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેર દ્વારા શરદ પૂનમની રાત્રીએ એક ભવ્ય અને દિવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.શરદ પૂનમના સોળે કળાએ ખીલેલા ચન્દ્રની શીતળ છાંયડામાં ભૂદેવોએ આ શરદ પૂનમની રઢિયાળી રાત કાર્યક્રમ યોજીને પવિત્ર પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.
આ ભવ્ય આયોજન ભરૂચના દાંડિયા બજાર સ્થિત સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટ સંચાલિત ભ્રુગુઋષિ મંદિરના કોમન પ્લોટમાં કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનો શુભારંભ માં આદ્યશક્તિની મહાઆરતી સાથે થયો હતો.ત્યાર બાદ શરદ પૂનમની રઢિયાળી રાત ગરબાના કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં ૩૦૦થી વધુ ભૂદેવો જોડાયા હતા અને તેમણે ભવ્ય આતશબાજી સાથે ગરબા અને રાસની રમઝટ માણી હતી.હિંદુ ધર્મની માન્યતા મુજબ, શરદ પૂનમના દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી ગગન વિહાર કરે છે,જે આ રાતને વધુ પવિત્ર બનાવે છે.
આ પ્રસંગે આરતી સજાવટ સ્પર્ધા,બાળકોને શૈક્ષણિક કીટ તેમજ દરેક ભૂદેવને લ્હાનીનું વિતરણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના અગ્રણીઓ રજનીકાંત રાવલ,શૈલેષ દવે, ગીરીશભાઈ શુક્લ,ઋષિ દવે, રશ્મિકાન્ત પંડ્યા,બ્રહ્મસમાજ ભરૂચ શહેર ના પ્રમુખ હેમંત શુક્લ,મહામંત્રી રાજુભાઈ ભટ્ટ સહિતનાઓએ હાજરી આપીને ભૂદેવોનો ઉત્સાહ વધાર્યો હતો.શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેર દ્વારા કરવામાં આવેલ આ સફળ આયોજનને સૌએ બિરદાવ્યું હતું.







