(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
આજે આમ આદમી પાર્ટીએ દેડીયાપાડા તાલુકા મથકે પ્રાંત અધિકારીને, રાજકીય પ્રવૃત્તિઓ કરનાર તાલુકા વિકાસ અધિકારી (દેડીયાપાડા) પર કાયદેસરની કાર્યવાહી કરવા મુદ્દે આવેદનપત્ર આપ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે તાલુકા વિકાસ અધિકારી-દેડીયાપાડા દ્વારા સપ્ટેમ્બર ૨૦૨૪ દરમ્યાન ચાલતા ભારતીય જનતા પાર્ટીના સદસ્ય નોંધણીના કાર્યક્રમમાં તલાટીઓ,મનરેગા તથા ડીઆરડીઓના કર્મચારીઓની મિટીંગ બોલાવી તમામ કર્મચારીઓને પાર્ટીના સભ્યો નોંધવા માટે લક્ષ્યાંક સાથે કામગીરી સોંપવામાં આવી હતી.જે બાબતે રજુઆતો મળતા તા.૧૨ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં જિલ્લા સેવા સદન-નર્મદા ખાતે રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ નર્મદા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક તથા નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને રૂબરૂ માં પુરાવાઓ સાથે રજૂઆત કરવામાં આવી હતી.જેમાં આ અધિકારી સામે કોઇપણ જાતના શિક્ષાત્મક પગલાં લેવામાં ન આવતા, ફરીવાર તાલુકા વિકાસ અધિકારી-દેડીયાપાડા દ્વારા તા.૨૫/૦૩/૨૦૨૫ના રોજ નર્મદા જિલ્લા ભાજપના નવ નિયુક્ત પ્રમુખના અભિવાદન કાર્યક્રમમાં લોકોને લાવવા માટે, દેડીયાપાડા તાલુકાના તમામ તલાટીઓ, મનરેગા તથા ડી.આર.ડી.ઓના કર્મચારીઓની મીટીંગ બોલાવી,સરપંચોને સૂચના અપાવી ઉપરોક્ત કાર્યક્રમમાં તાલુકાની દરેક ગ્રામ પંચાયત માંથી ૨૦૦-૩૦૦ લોકોને ફરજીયાત લઈ આવવા ફરજ પાડી, દબાણ કરવામાં આવી રહ્યું છે.જેથી કર્મચારીઓ અને સરપંચો સહિત લોકોમાં આ અધિકારી સામે ખુબ આક્રોશ વધી રહ્યો છે.જેથી કોઈ અનિચ્છનીય બનાવ બને તે પહેલા ગંભીર નોંધ લઈ આ અધિકારી પર કાર્યવાહી કરવા દેડીયાપાડા પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is