– આઠ હજાર પરિવારને લાભ મળશે : પખાજણ અને પારડી ઇદ્રિશના 66 કેવી સબસ્ટેશનના લોકાર્પણ તેમજ ગોવાલી અને તણછા સબ સ્ટેશનના ખાતમુર્હુત
ભરૂચ,
ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા રૂ.28 કરોડના ખર્ચે નિર્માણ પામેલ 66 KV ઝાડેશ્વર સબ સ્ટેશન સહિત કુલ ત્રણ સબસ્ટેશનનું લોકાર્પણ અને બે સબ સ્ટેશનનો ખાતમુર્હુત કાર્યક્રમ યોજાયો હતો.
વધતી જતી વીજ માંગને ધ્યાને લઈ ભરૂચના મકતમપુર વિસ્તારમાં રૂ.28 કરોડ ના ખર્ચે જેટકો દ્વારા ઝાડેશ્વર 66 કેવી સબ સ્ટેશન બનાવવામાં આવ્યું છે.તે ઉપરાંત વાગરા તાલુકાના પખાજણ અને અંકલેશ્વરના પારડી ઈદ્રિશ ખાતે 66 કેવી સબ સ્ટેશનના નિર્માણ કરાયા છે.જેનો લોકાર્પણ સમારોહ તેમજ આગામી દિવસોમાં નિર્માણ પામનાર ઝઘડિયાના ગોવાલી,તણછા સબ સ્ટેશનના ખાતમુહત સમારોહ ભરૂચના ઝાડેશ્વર ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી એ આ પ્રસંગે જણાવ્યું હતું કે ઝાડેશ્વર,ભોલાવ સહિતના વિસ્તારના 8 હજારથી વધુ પરિવારોને આનો લાભ મળશે અને નિયમિત રીતે જરૂરિયાત મુજબની વીજળી લોકોને પૂરી પાડી શકાશે. 
આ પ્રસંગે ભરૂચ પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, જેટકોના એમ.ડી.ઉપેન્દ્ર પાંડે સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.







