ભરૂચ,
ભરૂચ શહેરમાં ભાજપ દ્વારા દિવાળી પર્વની ઉજવણી સાથે લોકસંપર્ક વધારવાના હેતુસર શહેરના વિવિધ વોર્ડમાં સ્નેહમિલન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.ત્યારે ભરૂચ પાલિકા હદ વિસ્તારના વોર્ડ નંબર 7 થી 11 નો સંયુક્ત દાંડિયા બજાર સ્થિત સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ભરૂચ ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી,જિલ્લા મહામંત્રી નિરલ પટેલ, જિલ્લા ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ,નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, પાલિકા કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ તેમજ પાંચેય વોર્ડના સભ્યો અને ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ સ્નેહ મિલનમાં પાંચેય વોર્ડના નાગરિકો સાથે સીધી વાતચીત કરીને આગેવાનોએ દિવાળી પર્વની શુભેચ્છાઓ પાઠવવા સાથે કાર્યક્રમમાં સંગીત, હાસ્ય અને સંવાદનો સુમેળ જોવા મળ્યો હતો.આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો દ્વારા સ્વદેશી અપનાવોની વાત કરી હતી અને આવનારી નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પક્ષના કાર્યકરો લોકો સાથે વધુ નજીકથી જોડાવા માટે આવા સ્નેહમિલન કાર્યક્રમો દ્વારા ઘરઘર સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે.તેમણે જણાવ્યું કે ભાજપ સેવા અને વિકાસના ધ્યેય સાથે કાર્ય કરી રહી છે અને લોકોનો વિશ્વાસ જ પાર્ટીની સૌથી મોટી તાકાત છે.આ કાર્યક્રમના અંતે ઉપસ્થિત આગેવાનોએ વોર્ડના લોકોએ મળીને શહેરના વિકાસ માટે સહકાર આપવાની અપીલ કરી હતી.




