ભરૂચ,
ભરૂચ જિલ્લામાં પડેલા કમોસમી વરસાદના કારણે ડાંગર, કપાસ સહિતના પાકને ભારે નુકસાન થતા ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે.જેમાં બે દિવસમાં 6 હજાર હેક્ટર વિસ્તારમાં સર્વે કરી દેવામાં આવ્યો છે.
ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે નવ તાલુકાઓમાં ખેતી ને ભારે નુકસાન થયું છે.ખેડૂતોના મોં એ આવેલ કોળિયો પડી જતા જગત નો તાત આર્થિક રીતે પાયમાલ થયો છે.રાજ્ય સરકાર ધ્વારા અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવાની જાહેરાત કરતા ભરૂચ ખેતીવાડી વિભાગની 106 જેટલી ટીમો સર્વેની કામગીરીમાં જોતરાઈ છે.જિલ્લા ખેતીવાડી અધિકારી કુલદીપ વાળાએ તે અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યભરમાં પડેલા માવઠાને કારણે ખેતી પાકમાં વ્યાપક નુકશાન થયું છે.ભરૂચ જિલ્લામાં ડાંગરનો પાક સંપૂર્ણ નાશ થયો છે.તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.સાથે કપાસ સહિતના અન્ય પાકને પણ નુકશાન થયું છે.ખેતીમાં નુકસાન માટે સર્વેની સૂચના બાદ જિલ્લા ખેતીવાડી વિભાગે 31 ઓક્ટોબર થી ખેતી પાકમાં થયેલ નુકશાની માટે સર્વેની કામગીરી શરૂ કરી છે.સર્વે માટે ખેતીવાડી વિભાગ, આત્મા પ્રોજેક્ટ ના કર્મી તલાટી,ગ્રામ સેવક સહિતની 106 જેટલી ટીમ કામે લાગી છે અને ખેડૂતો ની સાથે તેઓના ખેતરોમાં જઈ નુકસાનીની વિગતો મેળવી રહ્યા છે.જિલ્લાના સૌથી વધુ અસરગ્રસ્ત હાંસોટ,અંકલેશ્વર માં ડાંગરનો પાક તો જંબુસર આમોદમાં કપાસનો તૈયાર પાકને નુકસાન થયું છે.ભરૂચ જિલ્લામાં 2 લાખ વાવેતર વિસ્તાર માથી અંદાજે 1.79 લાખ હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત થયો છે.જેમાં સર્વે બાદ નુકસાન કેટલું થયું છે તે જાણી શકાશે પરંતુ હાલ કેટલાક ખેતરમાં કમોસમી વરસાદના કારણે જવાઈ તેવી હાલત પણ નથી.

અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે ગત વર્ષે જુલાઈ તેમજ ઓગસ્ટમાં થયેલ વરસાદથી પણ ખેતીને ભારે નુકસાન થયું હતું.જેમાં જુલાઈ માસ ના 45,572 અસરગ્રસ્ત ખેડૂતોને રૂ.7,91,92,921 રૂપિયા ની તેમજ ઓગસ્ટ માસના 12641 અસરગ્રસ્ત ખેડૂતોને 1,87,49,913/ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી હતી.ત્યારે આ વર્ષે તેના કરતા પણ વધુ વ્યાપક નુકસાની નો અંદાજ છે ત્યારે આ આંક કેટલો થાય છે તે જોવું રહ્યું.







