– સૈકાઓથી ભરાતી પૌરાણિક જાત્રામાં આ વખતે 800 સ્ટોલ : પંચાયત અને તંત્ર માટી અને રેતી પુરી મેળાનું સ્થળ દુરસ્ત કરવામાં વ્યસ્ત
– દેવઉઠી અગિયારસથી ભરાતી જાત્રાથી પંચાયતને રૂપિયા 35 લાખથી વધુની આવક
ભરૂચ,
કમોસમી વરસાદે ભરૂચના શુકલતીર્થ ગામે સૈકાઓથી દેવઉઠી અગિયારસથી ભરાતા પૌરાણિક મેળાને પણ પ્રભાવીત કર્યો છે.
ભરૂચ જીલ્લાના શુકલતીર્થ ગામે પરંપરાગત મેળાને લઈ લાભ પાંચમના દિવસથી પ્લોટોની કામચલાઉ ભાડેથી આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક શ્રમજીવી વર્ગને તેમને રોજી મળી રહે તેવા સુહેતુથી પ્લોટની માપણી કરાઈ હતી.જોકે કમોસમી વરસાદ બાદ જામેલા કાદવ કીચડ અને ઠેર ઠેર પાણી ભરાવાને લઈ રવિવારથી શરૂ થતો મેળો પણ પ્રભાવિત થયો છે.ગ્રામ પંચાયત રેતી અને માટી નાખી મેળા માટે વિસ્તારને સજ્જ કરવામાં વ્યસ્ત બન્યું છે.
શુક્લતીર્થ ગ્રામ પંચાયતનું આવકનું સૌથી મહત્વનું સ્ત્રોત રેતીની રોયલ્ટી તેમજ શુકલતીર્થનો મેળો છે. આ વખતે મેળો 2 થી ઓ નવેમ્બર સુધી ચાલશે. મેળામાં વિવિધ ખાણી પીણીના પ્લોટો, સ્ટોલો, રમકડાં બજાર તેમજ મનોરંજન રાઈડસની સાથે સાથે પ્રસાદ તેમજ લુહારિયા બજાર પણ આવે છે. મનોરંજન પ્લોટ, પાર્કિંગ પ્લોટો તેમજ વિવિધ સ્ટોલના કામચલાઉ ભાડાનાં અંદાજિત 800 ઉપરાંત પ્લોટની ફાળવણી કરવામાં આવી.જેની કુલ આવક 33 થી 35 લાખ અંદાજવામાં આવે છે.
સરપંચ રણધીરસિંહ માગરોલાના નેજા હેઠળ સમગ્ર મેળાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. નર્મદા નદી કિનારે વસેલા શુકલતીર્થમા જાત્રાના 8 દિવસ રાજ્યભર માંથી જનમેદની ઉમટી પડે છે. અહીં આ દિવસોમાં દેવો પ્રત્યક્ષ ઉપસ્થિત રહેતા હોવાનું પુરાણોમાં વર્ણન છે.







