– ઝઘડિયા,રાજપારડી અને ઉમલ્લા પંથકના ગામોએ મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા
(જયશીલ પટેલ,ઝઘડિયા)
હનુમાન જયંતીના પર્વની ઠેરઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.ચૈત્ર સુદ પૂનમ એટલે હનુમાન જયંતી.હનુમાન જયંતી નિમિત્તે ભરૂચ જીલ્લાના અન્ય વિસ્તારો સહિત ઝઘડિયા તાલુકામાં ગામેગામ હનુમાન જયંતીનું પર્વ પરંપરાગત ભક્તિમય માહોલ વચ્ચે મનાવાયું હતું.દક્ષિણ ગુજરાતના સુપ્રસિદ્ધ એવા ગુમાનદેવ હનુમાનજી મંદિર ખાતે ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી પડ્યા હતા.આ ઉપરાંત ઝઘડિયા રાજપારડી, વણખૂટા, ઉમલ્લા સહિતના વિવિધ વિસ્તારો ઉપરાંત નર્મદા કાંઠા વિસ્તારમાં આવેલા મંદિરો અને આશ્રમો ખાતેના હનુમાન મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.વહેલી સવારથી જ ગ્રામ્ય વિસ્તારોમાં શંખનાદ,ઘંટનાદની ધ્વનિ સાંભળવા મળી હતી. ગુમાનદેવ,ઝઘડિયા,રતનપુર હનુમાનજી (પાતાળિયા હનુમાન) મંદિર,શાશ્વત મારુતિ ધામ મંદિર કૃષ્ણપુરી,રાજપારડી ખોડિયા હનુમાન મંદિર,વણખુંટા મંદિર ખાતે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.મંદિરો ખાતે આરતી ભજન કિર્તન તેમજ ભંડારાના કાર્યક્રમ યોજાયા હતા.જેનો હનુમાન ભક્તોએ લાભ લીધો હતો.હનુમાન જયંતી નિમિત્તે મંદિરોમાં હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતના સુપ્રસિદ્ધ એવા ગુમાનદેવ હનુમાનજી મંદિર ખાતે સમયાંતરે વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવતા હોય છે.ગુમાનદેવ હનુમાન મંદિરની ગણના ગુજરાતના અગ્રગણ્ય હનુમાન મંદિરોમાં થાય છે.ગુમાનદેવ હનુમાનજી મંદિરનો ઈતિહાસ છ સદીથી પણ વધુ પૌરાણિક છે, કહેવાય છે કે એક સાધુને હનુમાનજીએ સ્વપ્નમાં આવી આ પ્રતિમાનું દિશા સૂચન કર્યું હતું અને તે મુજબ સાધુ તે શોધવા નીકળી પડ્યા હતા.તે સમયે એક કપિલા ગાય પોતાના દૂધની ધારા વડે આ પ્રતિમા પર અભિષેક કરતી નજરે પડી હતી.ત્યાર બાદ ગુમાનીઓનું ગુમાન ઉતારતા હનુમાનજીનું નામ ગુમાનદેવ હનુમાનજી તરીકે પ્રચલિત થયું હતું. ગુમાનદેવ હનુમાન મંદિરે દર શનિવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે.શ્રાવણ મહિનાના શનિવારના દિવસોએ આ સ્થળે ભવ્ય મેળો ભરાય છે. આમ ઝઘડિયા પંથકમાં આજે ઠેરઠેર હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is