ભરૂચ,
અંકલેશ્વર એસેટ દ્વારા સ્વાસ્થ્ય, સુખાકારી અને સામુદાયિક એકતાને પ્રોત્સાહન આપવાના હેતુસર ONGC અંકલેશ્વર એસેટે ગુજરાત યોગ બોર્ડના સહયોગથી સૂર્ય નમસ્કાર પર કેન્દ્રિત વિશાળ યોગ તાલીમ શિબિરનું આયોજન કર્યું હતું.નવા વર્ષની શુભ શરૂઆત માટે યોજાયેલો આ કાર્યક્રમ વહેલી સવારે ૬ કલાકે ONGC કોલોનીના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો.જ્યાં કર્મચારીઓ તેમજ સ્થાનિક નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.આ યોગ તાલીમ શિબિર ONGC અંકલેશ્વરના એસેટ મેનેજર જે.એન.સુકાનંદનના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી.જ્યારે ગુજરાત યોગ બોર્ડના નિરીક્ષણ અને સહયોગથી સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન કરવામાં આવ્યું હતું.ગુજરાત યોગ બોર્ડના કો-ઓર્ડિનેટર કામિની બા રાજ સાથે યોગ કોચ વિરેન્દ્ર ભોરે અને અશોક ઓઝાએ સહભાગીઓને સૂર્ય નમસ્કારની સાચી પદ્ધતિ, તેના આરોગ્યલાભ અને નિયમિત અભ્યાસના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું.આ કાર્યક્રમમાં ONGCના કર્મચારીઓ, તેમના પરિવારજનો ઉપરાંત અંકલેશ્વર અને ભરૂચ શહેરમાંથી ૪૦૦થી વધુ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.સમૂહમાં સૂર્ય નમસ્કારના અભ્યાસથી સમગ્ર પરિસરમાં સકારાત્મક ઉર્જા અને એકતાની ભાવના જોવા મળી હતી.પરંપરાગત સુખાકારી પદ્ધતિઓ દ્વારા સ્વસ્થ જીવનશૈલી વિકસાવવાના ONGC અંકલેશ્વર એસેટના સતત પ્રયાસોનું આ કાર્યક્રમ ઉત્તમ ઉદાહરણ બન્યો હતો.યોગ દ્વારા નવા વર્ષની ઊર્જાવાન અને સકારાત્મક શરૂઆત કરવાનું આ આયોજન સહભાગીઓ માટે યાદગાર અને પ્રેરણાદાયી સાબિત થયું હતું.







