– અંગદાન કરનાર પરિવારજનોનુ સન્માન કરાયું
ભરૂચ,
ભરૂચ સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા અંગદાન માટે જન જાગૃતિ ફેલાવવા માટે પ્રાર્થના સ્કૂલ ખાતે પતંગ મહોત્સવ આયોજન કરાયું હતું.જેમાં મોટી સંખ્યામાં ભરૂચના આગેવાનો હાજર રહીને અંગદાન કરનાર પરિવારજનોનુ સન્માન કરાયું હતું.
ભરૂચ સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા શહેર – જિલ્લામાં વિવિધ સેવા કાર્ય કરવામાં આવતા હોય છે. જિલ્લામાં અંગદાનની શરૂઆત સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી.જેમાં લોકો દ્વારા અંગદાન કરી ઘણા લોકોનું જીવન બચાવવાનું ઉત્તમ કાર્ય સંકલ્પ ફાઉન્ડેશન થકી કરવામાં આવ્યું છે.અત્યાર સુધી સંસ્થાએ 1225 ચક્ષુદાન,20 દેહદાન,20 જેટલા અંગોના દાન અને 4 બ્રેઈન ડેથ વ્યક્તિઓ દ્વારા 400 થી વધુ પરિવારોને સાધન સહાય પણ કરવામાં આવી છે.
સંકલ્પ ફાઉન્ડેશન સમાજમાં રક્તદાન, નેત્રદાન, દેહદાન અંગદાન પ્રત્યે લોકોમાં જનજાગૃતિ આવે તે હેતુથી દર વર્ષે પતંગ ઉત્સવની ઉજવણી કરતો હોય છે અને દેહદાન અને અંગદાન કરનારના પરિવારજનોનું સન્માન પણ કરાય છે.જેના ભાગરૂપે આ વર્ષે પણ પરંપરાગત પતંગોત્સવનુ અને દેહદાન અને નેત્રદાન કરનારા પરિવારોનું સન્માનનું આયોજન શહેર પ્રાર્થના સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓએ પતંગ ઉત્સવમાં ભાગ લીધો હતો.આ પતંગ ઉત્સવમાં પતંગો ઉપર રક્તદાન,નેત્રદાન,અંગદાનના સૂત્રો સાથેની પતંગ ઉડાવી લોકોમાં જનજાગૃતિ ફેલાવાનો પ્રયાસ કર્યો હતો.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પ્રાર્થના સ્કૂલના ટ્રસ્ટી ડો.જીગ્નેશ પટેલ, જયાબેન મોદી હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્સડૉ.આત્મી ડેલીવાલા અતિથિ વિશેષમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ યોગેશ જોશી, સામાજિક અગ્રણી જીતેન્દ્ર મહેતા, આમોદ દેરાસરના ટ્રસ્ટી પારસ શાહ,વાણી ફાઉન્ડેશનના પ્રમુખ માર્ટિન પટેલ, સામાજિક અગ્રણી પ્રદીપ રાવલ અને પરાગ શેઠ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સંકલ્પ ફાઉન્ડેશનના સ્થાપક પ્રમુખ સંજય તલાટી,પ્રમુખ અશોક જાદવ,સેક્રેટરી જતીન પ્રજાપતિ સહિત સભ્યોએ અંગદાન, દેહદાન,નેત્રદાન કરનારા લોકો અને તેમનાં પરિવારજનોને સન્માન કરવામાં આવ્યા હતા.ત્યાર બાદ બાળકોએ પતંગોત્સવનો આનંદ માણ્યો હતો.




