આમોદ,
સમસ્ત આમોદ તાલુકા આદિવાસી સમાજ ધ્વારા ગત રોજ તિલક મેદાન ખાતે ક્રાંતિકારી જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવાનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જે નિમિત્તે ધારાસભ્ય ડી.કે સ્વામી તથા સાંસદ મનસુખ વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.જેથી સમગ્ર આમોદ નગરમાં ઉત્સાહ અને ગૌરવનો માહોલ જોવા મળ્યો હતો.
આમોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સામેથી આદિવાસી સમાજ દ્વારા સુપર ઝણકાર બેન્ડ સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈઓ બહેનો તથા લોકો હાજર રહ્યા હતા અને બેન્ડની સુરાવલી સાથે પરંપરાગત ડાન્સ કરી ઝૂમી ઊઠ્યા હતા.ક્રાંતિકારી જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાના અનાવરણ પ્રસંગે શોભાયાત્રામાં જોડાયેલા ધારાસભ્ય ડી.કે.સ્વામી તેમજ સાંસદ મનસુખ વસાવાનું સમાજના આગેવાનોએ પુષ્પમાળા પહેરાવી ભાવભીનું સ્વાગત કર્યું હતું.તેમજ સમાજના આગેવાન દ્વારા સાંસદ મનસુખ વસાવાને તીર કામઠા આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે.સ્વામીએ પ્રાસંગીક ઉદબોધન કરી તિલક મેદાનનું નામ બિરસા મુંડા સર્કલ કરવા બદલ આમોદ નગરપાલિકાના સદસ્યોનો તેમજ પાલિકાનો આભાર વ્યક્ત કર્યો હતો.સાંસદ મનસુખ વસાવાએ પ્રાસંગીક ઉદબોધન કરી ભગવાન બિરસા મુંડાના જીવન સંઘર્ષ અને અંગ્રેજો સામે થયેલી શહાદતને યાદ કરી આદિવાસી સમાજમાં ચાલતા અંધશ્રદ્ધા,કુરિવાજો અને વ્યસનો દૂર કરવા હાકલ કરી હતી.તેમજ આદિવાસી સમાજે ઉચ્ચ શિક્ષણ મેળવી આગળ વધવા જણાવ્યું હતું.સરકારી નોકરી મેળવવા શિક્ષણ મેળવવું જરૂરી હોવાનું જણાવ્યું હતું.અને વધુમાં જણાવ્યું હતું કે બિરસા મુંડા એક વૈધ તરીકે પણ ઓળખાતા હતા કારણકે લોકોની ગમે તેવી પીડા તેમની અલૌકિક શક્તિથી દૂર થતી હોવાથી લોકો તેમને ભગવાન તરીકે પૂંજે છે.જનનાયક બિરસા મુંડાએ ખૂબ જ નાની ઉંમરમાં આદિવાસી સમાજને સંગઠિત કરી આદિવાસી સમાજને એક નવી દિશા બતાવી હતી.આ પ્રસંગે નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક,પાલિકાના સદસ્યો,આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ,મહામંત્રી હિતેશ પટેલ, મયુરસિંહ રાજ,આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી,મહામંત્રી હિતેશ શાહ,ભાવિક પટેલ તેમજ સમગ્ર ભરૂચ જિલ્લામાંથી આદિવાસી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભગવાન બિરસા મુંડાને ફુલહાર અર્પણ કરી ધન્યતા અનુભવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરનમાં આવેલા તિલક મેદાન સર્કલનું નામ બદલીને હવે નવું નામકરણ ભગવાન બિરસા મુંડા સર્કલ કરવામાં આવ્યું હતું.




