(ભાવેશ પંડ્યા,ભાલોદ)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નવી તરસાલી ગામની નવી વસાહત વિસ્તારમાં પશુપાલકના ઘરના વાડામાંથી થોડા દિવસ અગાઉ દીપડાએ એક વાછરડીનું મારણ કર્યું હતું.ત્યાર બાદ બીજા દિવસે એક બકરીને પણ દીપડાએ શિકાર બનાવી હતી આ વાતની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગની ટીમ દ્વારા ઘટના સ્થળે દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું.ત્યાર બાદ ગતરોજ મખદૂમ ભાઈના તબેલા પરથી દીપડાએ પાડાનું મારણ કરી ફાડી ખાધો હતો જે સ્થળે ફરી એકવાર પાંજરું ગોઠવવામાં આવતા આખરે સાંજના સમયે આ કદાવર દીપડો પાંજરે પુરાયો હતો.જેને જોવા માટે લોક ટોળા ઉમટી પડ્યા હતા. આ વાતની જાણ વન વિભાગને થતા વન વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી દીપડાને ત્યાંથી ખસેડવામાં આવ્યો હતો અને ત્યાર બાદ આ દીપડાને પાણી અને ખોરાક મળી રહે તેવા સુરક્ષિત સ્થળે છોડી મૂકવામાં આવશે તેમ જણાવ્યું હતું.




