– માર્ગ અને મકાન વિભાગની ત્રીજી આખરી નોટિસ બાદ તંત્રનો સપાટો
(જયશીલ પટેલ,ઝઘડીયા)
અંકલેશ્વરથી રાજપીપલા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ ઉપર ઝઘડિયા ચાર રસ્તા ખાતે કરાયેલા ગેરકાયદે દબાણો દુર કરવા માટે માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી રહ્યું છે. ઝઘડિયા ચાર રસ્તા સ્થિત રોડની બંને બાજુ ગેરકાયદેસર કેબિનો છેલ્લા કેટલાક વર્ષોમાં ઉભી કરાતા દબાણકર્તાને ભૂતકાળમાં ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી.તેમ છતાં દબાણો નહિં હટાવતા ગતરાત્રી તેમજ આજે દિવસભર તંત્ર દ્વારા સવારથી જ પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતા ઝઘડિયાના ચાર રસ્તા ઉપર આજે નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા ગેરકાયદે દબાણો હટાવવામાં આવ્યા હતા. માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડની બંને બાજુ ૧૫-૧૫ મીટર એટલે કે રોડની મધ્યેથી ૩૦ મીટર ની અંદર રોડની સાઇડમાં ગેરકાયદે કેબિન મુકી દબાણો કરવામાં આવ્યા હતા જે ને વર્ષ ૨૦૨૫ થી ગત રોજ સુધી ત્રણ વખત દબાણો જાતે દુર કરવા નોટિસ આપવામાં આવી હતી.તેમ છતા દબાણો દુર નહી કરવામાં આવતા ગતરાત્રે તથા આજે વહેલી સવારથી જ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસના જાપ્તા હેઠળ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્વારા ઝઘડિયા ચાર રસ્તા ઉપર ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું હતું. ઝઘડિયા ચાર રસ્તા ખાતે રોડની બંને બાજુ કરાયેલા દબાણો કેટલાક કેબિન ધારકો દ્વારા જાતે જ તોડી નાખવામાં આવ્યા હતા.તો નહીં તોડાયોલા ગેરકાયદે દબાણો ઉપર તંત્ર એ બુલડોઝર ફેરવી કાર્યવાહી હાથધરી હતી.




