– ૧૫ ફુટ ઉંચુ શિવલિંગ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે
– પોસ્ટર સ્વરૂપે ૧૨ જ્યોતિર્લિંગના દર્શન પણ એક જ સ્થળે થાય તેવું આયોજન
ભરૂચ,
મહાશિવરાત્રી પર્વને લઈ બ્રહ્માકુમારી દ્વારા અંકલેશ્વરમાં ત્રિદિવસીય શિવ દર્શન આધ્યાત્મિક મેળામાં ૧૫ ફૂટ ઊંચું શિવલિંગ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બનશે સાથે જ બાર જ્યોતિર્લિંગના દર્શન પણ એક જ સ્થળ પર ભક્તો કરી શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતું.
મહાશિવરાત્રીના પાવન પર્વની ઉજવણી કરવા સમગ્ર ભરૂચ શહેર અને જીલ્લો તડામાર તૈયારીઓમાં લાગ્યો છે તો બીજી તરફ શિવ ભક્તો પણ શિવની આરાધનામાં મગ્ન બનતા હોય છે.ત્યારે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા દર વર્ષે મહાશિવરાત્રી પર્વ પર લોકોને શિવ સંદેશ પાઠવવા માટે અનેક પ્રકારના આયોજન કરાતા હોય છે.ત્યારે આ વર્ષે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ગાર્ડન સીટીમાં મહાશિવરાત્રી નિમિત્તે ૧૩ થી ૧૫ એમ ત્રિદિવસીય શિવ દર્શન આધ્યાત્મિક મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવતા મહાઆરતી કરી પ્રભાદીદીના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.આ પ્રસંગે અંકલેશ્વરના અનિલા દીદી, હેતલ દીદી, નીમા દીદી સહીત મહાનુભાવો તેમજ બ્રહ્માકુમારીની સમર્પિત બહેનો અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ મેળામાં સવારના ૯ વાગ્યાથી રાત્રીના ૧૦ વાગ્યાં સુધી શહેરીજનો શિવલિંગના દર્શન કરવા સાથે આધ્યાત્મિકતાનો લાભ લઈ શકશે.જેમાં બાર જ્યોતિર્લિંગ દર્શન તેમજ ૧૫ ફૂટ ઊંચું શિવલિંગ સાથે જ બાળકો માટે વેલ્યુસ ગેમ તથા નશા મુક્તિ પ્રદર્શનીનું પણ આયોજન સાથે રાજ યોગ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે આગામી તારીખ ૧૭ થી ૨૧ ફેબ્રુઆરીના રોજ સવારે ૭ થી ૮ કલાક અને સાંજે ૪ થી ૫ કલાકે તથા રાત્રે ૭:૩૦ કલાકથી ૮:૩૦ કલાક સુધી રાજયોગ શિબિરનો પણ લોકો લાભ લઈ શકશે.તેમજ સવારે ૯ કલાકે અને રાત્રે ૮ કલાકે મહાઆરતીનું પણ આયોજન પણ કરવામાં આવ્યું છે.
આ મેળામાં આવનાર તમામ લોકોને શિવ દર્શન કરવા સાથે એક જ સ્થળે બાર જ્યોતિર્લિંગના દર્શન પણ કરી શકે તેવું આયોજન બ્રહ્માકુમારી દ્ધારા કરવા સાથે લોકોમાં પરમાત્મા પ્રત્યે જાગૃતિ આવે, પરમાત્મા કોણ છે?, પરમાત્માનો પરિચય અને પરમાત્માના સ્વરૂપોનું વર્ણન થયા તે માટે આ મેળો કરવાનો ખાસ ઉદ્દેશ રહ્યો છે.




