– ગેરકાયદેસર થતા રેત ખનનમાં વપરાતા સાધનો ખાણ ખનિજ વિભાગ દ્વારા કબ્જે લેવાયા હતા
– પુરાવાનો નાશ કરવાના આશયથી નાવડીની ઉઠાંતરી થઈ હોવાની શંકા સાથે ખાણ ખનિજ વિભાગને ફરિયાદ કરવામાં આવી
ભરૂચ,
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે નર્મદામાંથી ગેરકાયદેસર રેત ખનન થતું હોવાની ફરિયાદ રાણીપુરાના ગ્રામજનો દ્વારા જિલ્લા ખાણ ખનિજ વિભાગ સહિત અન્ય સંબંધિત વિભાગોને કરવામાં આવતા ખાણ ખનિજ વિભાગ દ્વારા સ્થળ ઉપરથી રેત ખનનમાં વપરાતા હિટાચી મશીન યાંત્રિક જેવા સાધનો જપ્ત કર્યા હતા જ્યારે પાઇપો બેરલ વિગેરે સાધન સામગ્રી જપ્ત કરી ન હતી.ફક્ત હિટાચી અને યાંત્રિક નાવડી જેવા સાધનો જપ્ત કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ ઘટનામાં ગેરકાયદેસર રેત ખનન કરનાર ગોવાલી ગામના દેવાંગ પાટણવાડીયાએ ઝઘડિયાના પત્રકાર જયશીલ પટેલ પર હુમલો કર્યો હતો.ત્યાર બાદ હાલમાં ખાણ ખનિજ વિભાગ દ્વારા જપ્ત કરાયેલ સાધનો પૈકી યાંત્રિક નાવડી સ્થળ ઉપરથી ગુમ થયેલ હોવાનું ધ્યાનમાં આવતા ફરિયાદી જયશીલ પટેલ દ્વારા જિલ્લા ખાણ ખનિજ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરીને ખાણ ખનિજ વિભાગ દ્વારા જપ્ત કરાયેલ સાધનો માંથી હાલ નાવડી ગુમ થયેલ હોઈ તે બાબતે પોલીસ ફરિયાદ કરવા જણાવવામાં આવ્યું હતું.
રેત માફિયા આરોપી દેવાંગ પાટણવાડીયા દ્વારા પુરાવાનો નાશ કરવાના ઉદ્દેશથી યાંત્રિક નાવડીની ઉઠાંતરી કરી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. કુલ રૂપિયા ૫૫ લાખના જપ્ત કરેલ સાધનો માંથી નાવડી ગુમ થયેલ હોઈ ઉઠાંતરી કરનાર ઈસમો સામે પોલીસ કાર્યવાહી કરવા ફરિયાદમાં જણાવાયું હતું. ઉલ્લેખનીય છેકે રાણીપુરા ગામે થતા ગેરકાયદેસર રેત ખનન બાબતે થયેલ ફરિયાદ બાદ પત્રકાર જયશીલ પટેલ પર હુમલો થવાની ઘટના બની હતી, ત્યાર બાદ આ બાબતે પોલીસ ફરિયાદ થઈ હતી.પરંતું હજુ આરોપી પોલીસ પકડથી દુર રહ્યો હોવા ઉપરાંત તેના દ્વારા કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરવામાં આવી હતી.જેની સુનાવણી હજી પેન્ડિંગ છે ત્યારે ખાણ ખનિજ વિભાગ દ્વારા જપ્ત કરાયેલ સાધનો પૈકી નાવડી રહસ્યમય સંજોગોમાં ગુમ થતાં આ બાબતે વિવિધ સવાલો ઉઠવા સાથે અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.




