ભરૂચ,
ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવા ખાતે સ્થાપક માનસિંહ દાદાનો જન્મદિવસ શ્રદ્ધા અને ગૌરવભાવ સાથે ઉજવવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો,ટ્રસ્ટીઓ,આચાર્યઓ,સ્ટાફ સભ્યો તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો.
આ પ્રસંગે સંદીપ માંગરોલા,રાજેન્દ્રસિંહ સાયનિયા,રાજેન્દ્રસિંહ માંગરોલા તેમજ ટ્રસ્ટના પ્રમુખ યોગેશભાઈ જોષી સહિત તમામ વિભાગના આચાર્યઓ અને સ્ટાફ દ્વારા માનસિંહ દાદાને મોમેન્ટો અર્પણ કરી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી અને તેમનું હાર્દિક સન્માન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમ દરમ્યાન પ્રાસંગિક પ્રવચનો યોજાયા હતા.
ટ્રસ્ટી સંદીપ માંગરોલાએ પોતાના પ્રવચનમાં દાદાના સંઘર્ષમય જીવન અને આદિવાસી વિસ્તારમાં પગદંડી માર્ગો પર ચાલીને સંસ્થા ઊભી કરવાની તપસ્યાનો ઉલ્લેખ કર્યો અને દાદાની રાષ્ટ્રપતિશ્રીને સંસ્થામાં આમંત્રિત કરવાની ઇચ્છા પૂર્ણ કરવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
રાજેન્દ્રસિંહ સાયનિયાએ દાદાના ત્યાગ, સમર્પણ અને શિક્ષણ પ્રત્યેના અવિરત કાર્યને યાદ કરી ભાવાંજલિ વ્યક્ત કરી હતી.
એન.આર.આઈ ધર્મેન્દ્રસિંહ જાદવે પોતાના સંબોધનમાં સંસ્થાની આંતરરાષ્ટ્રીય ઓળખ વધારવા માટે સહકાર આપવાની ખાતરી આપી હતી.
ટ્રસ્ટ પ્રમુખ યોગેશભાઈ જોષીએ સંસ્થાના વિકાસપ્રયત્નો,આવનારી હીરક જયંતિ (૬૦ વર્ષ પૂર્ણોત્સવ)ની ઉજવણી અંગે માહિતી આપી અને સૌને મળીને સંસ્થાને નવી ઊંચાઈએ પહોંચાડવા આહ્વાન કર્યું હતું.
કાર્યક્રમ અંતે સૌ ઉપસ્થિત મહાનુભાવોએ દાદાના દીર્ઘાયુષ્ય અને ઉત્તમ આરોગ્ય માટે શુભેચ્છાઓ પાઠવી અને સંસ્થાની પ્રગતિ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.આ રીતે માનસિંહ દાદાનો જન્મદિવસ ભાવભીની અને ગૌરવસભર રીતે ઉજવાયો હતો.




