– નગરમાં ઐતિહાસિક ભવ્ય નગરયાત્રા નીકળી : મંદિરને 1000 કિલો રંગબેરંગી ફૂલોથી શણગારાયુ
– પ્રાગટ્ય દિવસે હજારોની સંખ્યામાં માતાજીના દર્શને ભક્તો ઉમટ્યા
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
રાજપીપલા હરસિદ્ધિ મંદિરને 425 વર્ષ થતા આજે માતાજીનો પ્રાગટ્ય દિવસ ભારે શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક ઉજવાયો હતો.જેમાં નગરમાં ઐતિહાસિક ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.હરસિધ્ધિ મંદિર,યંત્ર,માતાજીની તસવીર વગેરે ઝાંકી વિશેષ આકર્ષણ બન્યું હતું. રથયાત્રામાં માતાજીની સવારી,વિવિધ ટેબલોનિદર્શન જોવા લોક ટોળાં ઉમટ્યા હતાં.મંદિરને 1000 કિલો રંગબેરંગી ફૂલોથી શણગારાયુ હતું.પ્રાગટ્ય દિવસે હજારોની સંખ્યામાં માતાજીના દર્શને ભક્તો ઉમટ્યા હતા.
ઈ.સ 1657માં રાજવી વેરીશાલજી મહારાજ સાથે જે સ્વરૂપમાં માતાજી પધાર્યા હતા તે મૂળ સ્વરૂપનો ટેબલો દર્શન ખાસ કરીને લોક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
ખાસ તો મંદિરના ગર્ભ ગૃહમાં મુકેલ માં હરસિધ્ધિની તસવીર અને આરતી સાથેના દર્શનની અનોખી ઝાંકી જોવા લોકટોળાં ઉમટ્યાહતા.સાથે રથમા બેસેલ વહાણ વાટા માતાજીનું સાક્ષાત સ્વરૂપનું દર્શન તથા શિવજીની સવારી વિશેષ આકર્ષણ નું કેન્દ્ર રહી હતી
બાલિકાઓની કળશ યાત્રા,સાથે મોટી સંખ્યા મહિલાઑ માતાજીના ગરબાની રમઝટ સાથે નીકળેલી નગર યાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.રથમા બિરાજમાન રાજવી પરિવારના યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ, ધારાસભ્ય દર્શના દેશમુખ સાથે નગરજનો પણ નગરયાત્રામાં જોડાયા હતા.પ્રાગટ્ય મહોત્સવના પ્રથમ દિવસે નગરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે હરસિધ્ધિ માતા મંદિર લાખો શ્રદ્ધાળુંઓનું શ્રદ્ધા સ્થાનક છે.અહીં નવરાત્રી એ નવ દિવસનો ભવ્ય મેળો ભરાય છે.ઉજ્જૈનથી સ્વયંભુ રાજપીપલા પધારેલ હરસિદ્ધિ મંદિર રાજપીપળા સ્ટેટના રાજવી વેરીશાલજી મહારાજે ઈ.સ 1657માં રાજપીપળા નગરમાં બંધાવ્યું હતું એને આજે 425વર્ષ થયા હતા.આ મંદિરમાં માતાજી સ્વયં સ્થાપિત થયા હતા.અહીં માતાજી 425 વર્ષોથી બિરાજમાન છે.સર્વ ભક્તોની મનોકામના,બાધા આંખડી અહીં પૂર્ણ થતી હોવાની માન્યતા છે.




