ભરૂચ,
અંકલેશ્વર તાલુકાના ભાદી અને બાકરોલ ગામની સીમમાં છેલ્લા ઘણા સમયથી દીપડાના આતંકના કારણે ગ્રામજનો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા હતા.પરંતુ વન વિભાગની સતર્કતાના કારણે આખરે દીપડો પાંજરે પુરાયો છે.આ વિસ્તારમાં દીપડાની અવરજવર વારંવાર જોવા મળતી હતી.જેના કારણે ખાસ કરીને ખેતરોમાં જતા શ્રમિકો અને ખેડૂતોમાં ભારે ફફડાટ વ્યાપ્યો હતો. સ્થાનિકોની સુરક્ષા અને જાનમાલના જોખમને ધ્યાને રાખીને વન વિભાગ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.જેના પગલે વન વિભાગે વ્યૂહાત્મક રીતે દીપડાને પકડવા માટે મારણ સાથેનું પાંજરું ગોઠવ્યું હતું.ગઈકાલે રાત્રિના સમયે ખોરાકની શોધમાં આવેલો દીપડો વન વિભાગ દ્વારા મુકવામાં આવેલા પાંજરામાં આખરે કેદ થઈ ગયો હતો. સવારના સમયે જ્યારે ગ્રામજનોને દીપડો પકડાયાના સમાચાર મળ્યા ત્યારે સમગ્ર પંથકમાં હાશકારો ફેલાયો હતો અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી દીપડાનો કબજો મેળવ્યો હતો અને તેને સલામત રીતે અન્યત્ર ખસેડવાની પ્રક્રિયા હાથધરી હતી.દીપડો કેદ થતા જ ભાદી અને બાકરોલ ગામના લોકો હવે નિર્ભય બનીને પોતાની દૈનિક ખેતીકામની પ્રવૃત્તિઓમાં પરોવાયા છે.




