‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો

SHARE:

વિશ્વભરમાં તેલ અને ગેસના વધતા સંકટ વચ્ચે ઈઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહૂએ એક અત્યંત મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે ઈરાન સામેનું આ યુદ્ધ લોકોની ધારણા કરતા ઘણું વહેલું સમાપ્ત થઈ શકે છે. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે જણાવ્યું કે ઈરાન અત્યારે પાયમાલ થઈ રહ્યું છે અને હવે તેની પાસે યુરેનિયમનું સંવર્ધન કરવાની કે નવી બેલેસ્ટિક મિસાઇલ બનાવવાની ક્ષમતા બચી નથી. વધુમાં, ઈરાનના ઉચ્ચ નેતૃત્વમાં પણ આંતરિક વિખવાદ અને ભારે તણાવ જોવા મળી રહ્યો છે. આયતુલ્લા અલી ખામેનેઈ બાદ સત્તામાં આવેલા મુજતબા ખામેનેઈ હજુ સુધી જનતા સામે આવ્યા નથી, જે ઈરાનની નબળાઈ તરફ ઈશારો કરે છે.

અમેરિકા સાથેની વ્યૂહરચના અને ટ્રમ્પનો હસ્તક્ષેપ

ઈઝરાયલે અમેરિકાને યુદ્ધમાં ખેંચ્યું હોવાના આરોપો પર વળતો પ્રહાર કરતા નેતન્યાહૂએ કહ્યું કે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશા પોતાના દેશના હિતમાં સ્વતંત્ર રીતે નિર્ણયો લે છે, તેમને કોઈ દબાણ કરી શકતું નથી. હાલમાં ઈઝરાયલ અને અમેરિકાની સેના તેમજ ઇન્ટેલિજન્સ એજન્સીઓ સાથે મળીને વ્યૂહરચના મુજબ કામ કરી રહી છે. નેતન્યાહૂએ સ્પષ્ટ કર્યું કે ઈરાનના ગેસ કમ્પાઉન્ડ પર હુમલો કરવાનો નિર્ણય ઈઝરાયલનો પોતાનો હતો, પરંતુ હવે ટ્રમ્પની સલાહને માન આપીને આગળની સૈન્ય કાર્યવાહી પર રોક લગાવી દેવામાં આવી છે.

વૈશ્વિક સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય જળમાર્ગનો વિવાદ

નેતન્યાહૂએ ભારપૂર્વક જણાવ્યું કે ઈઝરાયલ માત્ર પોતાની જ નહીં, પણ સમગ્ર વિશ્વ અને મધ્ય પૂર્વની સુરક્ષા માટે લડી રહ્યું છે. ઈરાન દ્વારા આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગ ‘સ્ટ્રેટ ઑફ હોર્મુઝ’ બંધ કરીને દુનિયાને બ્લેકમેલ કરવાના જે પ્રયાસો થઈ રહ્યા છે, તે ક્યારેય સફળ નહીં થાય. નેતન્યાહૂના મતે ઇરાન અત્યારે આંતરિક અને બાહ્ય એમ બંને મોરચે નબળું પડ્યું હોવાથી આ જંગ હવે તેના અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં જ શાંતિ સ્થપાઈ શકે છે.વધુમાં નેતન્યાહૂએ જણાવ્યું કે, ઈઝરાયલ હવે ઈરાનને હવામાં, જમીન પર અને જમીનની અંદર એમ ચોતરફથી નિશાન બનાવી રહ્યું છે, જેનો મુખ્ય લક્ષ્ય ઈરાની લોકોને આઝાદી અપાવવાનો અને રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC)ના પ્રભાવને કાયમ માટે નાબૂદ કરવાનો છે. અમેરિકા સાથેના સંબંધો પર પ્રકાશ પાડતા તેમણે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના શાનદાર તાલમેલની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ટ્રમ્પ કોઈના દબાણમાં આવ્યા વગર સ્વતંત્ર નિર્ણયો લે છે અને અમેરિકાની આ મદદથી જ ઈઝરાયલ આ ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે. ઘરઆંગણે પણ નેતન્યાહૂએ યુદ્ધથી પ્રભાવિત લોકોને યોગ્ય વળતર આપવાની અને દેશના અર્થતંત્રને ફરી વેગ આપવાની ખાતરી આપી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!