– વીજ કરંટથી ચોટી ગયેલા નાના ભાઈને બચાવવા જતા મોટા ભાઈએ જીવ ગુમાવ્યો
ભરૂચ,
આમોદ તાલુકાના આછોદ ગામે ગત રોજ બપોરના સમયે હૃદયદ્રાવક દુર્ઘટના બની હતી.જેમાં બે સગા ભાઈઓને વીજ કરંટ લાગતા મોટા ભાઈનું ભાઈનું દુઃખદ અવસાન થયું હતું જ્યારે નાનો ભાઈ ઈજાગ્રસ્ત બન્યો હતો.
આમોદ તાલુકાના આછોદ ગામની નવીનગરીમાં રહેતા ઠાકોરભાઈ પ્રવિણભાઈ રાઠોડના ઘરે કપડા સુકવવા માટે લોખંડની એંગલ ઉપર તાર બાંધવામાં આવ્યો હતો. દુર્ભાગ્યવશ આ તાર પર અચાનક વીજ કરંટ આવી જતા વિજયભાઈ રાઠોડ જોરદાર કરંટ લાગ્યો હતો અને ચોંટી ગયા હતા.નાના ભાઈની ચીસાચીસ સાંભળી તેમના મોટાભાઈ ઠાકોરભાઈ રાઠોડ પણ ઘર માંથી બહાર આવી નાનાભાઈ વિજયને બચાવવા પ્રયાસ કરતા પોતે પણ વીજ કરંટની ઝપેટમાં આવી ગયા હતા.સૌથી મોટાભાઈ મહેશભાઈએ સમજદારીપૂર્વક લાકડી વડે તારને સપાટો મારતાં તાર તૂટી ગયો અને બંને ભાઈઓ નીચે પટકાયા હતા.ત્યારે ઠાકોરભાઈ સ્થળ ઉપર બેભાન થઈ ગયા હતા.ત્યાર બાદ બંને ભાઈઓને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં પહોંચતા પહેલાં જ ઠાકોરભાઈ રાઠોડનું અવસાન થયું હતું.જ્યારે વિજયભાઈ રાઠોડને વીજ કરંટથી ઈજાઓ થતા સારવાર આપવામાં આવી હતી.આમોદ પોલીસે ઠાકોરભાઈનું પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહ તેમના પરિવારજનોને પરત કરી મહેશ પ્રવિણ રાઠોડની ફરિયાદના આધારે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથધરી હતી.




