ઝઘડિયા તાલુકાની ત્રણેય જીલ્લા પંચાયતની બેઠક પર પાટીદારોને કાપી એક તરફી ક્ષત્રિય સમાજને ટિકિટ ફાળવવામાં આવતા કચવાટ

SHARE:

– ૨૦૨૨ માં પણ ત્રણેય બીન અનામત જિલ્લા પંચાયતની બેઠકો પર પાટીદાર સમાજના ભાજપના કાર્યકરોની બાદબાકી કરવામાં આવી હતી 

– ભાજપના લિસ્ટમાં ઝઘડિયા તાલુકામાં પતિને તાલુકા પંચાયતની અને પત્નીને જિલ્લા પંચાયતની બેઠક ફાળવવામાં આવી

(જયશીલ પટેલ, ઝઘડીયા)

રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે ત્યારે ભાજપના ટિકિટ વાંચ્છુકોને ટિકિટ નહીં મળતા ભારે હોબાળો થયો છે, કેટલાકે રાજીનામાં આપ્યા છે, કેટલાય અપક્ષ ઉમેદવારી કરી છે, કેટલાક લોકો પક્ષ સાથે છેડો ફાડી અન્ય પક્ષમાં જતા‌ રહ્યા છે, કેટલાક સ્થળે કાર્યાલય ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાની નોબત સુધ્ધા આવી હોય તેવા અહેવાલ સામે આવી રહ્યા છે, ભાજપ દ્વારા કેટલીક જગ્યાએ બાહુબલીઓના જોરે ઉમેદવાર રિપીટ કરાયા છે ત્યારે કેટલાક સમાજને ઉમેદવારી માંથી એક તરફી બાદબાકી કરવામાં આવી રહ્યા હોય તેવા અહેવાલ પણ મળી રહ્યા છે, જેથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ દ્વારા ટિકિટ ફાળવવામાં કાંઈ કાચું કપાઈ ગયું હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે, ઝઘડિયા તાલુકામાં પણ ભાજપ દ્વારા જિલ્લા પંચાયતની બિન અનામત બેઠકો પર એક તરફી એક જ સમાજના ઉમેદવારોને ટિકિટ ફાળવવામાં આવી છે જેના પગલે અંદરો અંદર મોટો ગણ ગણાત સાંભળવા મળી રહ્યો છે, ઝઘડિયા તાલુકાની જીલ્લા પંચાયતની દુ:માલા વાઘપુરા, રાજપારડી અને સુલતાનપુરા બેઠક બિન અનામત સામાન્ય / સ્ત્રી જાહેર થઈ છે ત્યારે આ ત્રણે બેઠક પર પાટીદાર સમાજ ક્ષત્રિય સમાજ બ્રહ્મસમાજ, ઓબીસી સમાજના ભાજપના કાર્યકરો દ્વારા ટિકિટની માંગણી કરી સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી હતી, ત્યારે આ ત્રણેય જીલ્લા પંચાયતની બિન અનામત સામાન્ય બેઠક પર ભાજપ દ્વારા એક તરફી ક્ષત્રિય સમાજના જ ત્રણેય ઉમેદવારોને ટિકિટ ફાળવી દેવાતા પાટીદાર સમાજમાં મોટાપાયે અસંતોષ જોવા મળી રહ્યો છે, ૨૦૨૨ ની ચૂંટણીમાં પણ ભાજપ દ્વારા આ ત્રણેય બેઠકો પર એક તરફી ક્ષત્રિય સમાજને ટિકિટ ફાળવી પાટીદાર સમાજની રિતસરની બાદબાકી કરી નાખી હતી અને તેનું જ પુનરાવર્તન કરી ચાલુ ટર્મ ૨૦૨૬ માં પણ એ જ પ્રકારનો સેન્સ રાખવાના કારણે પાટીદાર સમાજની અવગણના જિલ્લામાં ભાજપ દ્વારા કરવામાં આવી રહી હોવાનું સ્પષ્ટ જણાય છે, ઝઘડિયા તાલુકા પંચાયતની બેઠકની ઉમેદવારીમાં પણ પતિને તાલુકા પંચાયત અને પત્નીને જિલ્લા પંચાયતની બેઠક ફાળવી હોવાનું લિસ્ટ પણ સામે આવ્યું છે, ત્યારે એક જ પરિવારમાંથી એક જિલ્લા પંચાયતના સદસ્ય બનશે અને એક તાલુકા પંચાયતના સદસ્ય બનશે, ત્યારે ભાજપનો પરિવારવાદ સામે આવ્યો છે! શું આટલા મોટા કાર્યકરોનો પરિવાર ધરાવતા ભાજપમાં ઉમેદવાર નથી મળી રહ્યા કે એક જ પરિવારના પતિ પત્નીને તાલુકા અને જિલ્લા પંચાયતની ટિકિટ ફાળવવાની નોબત આવી? હાલમાં ઝઘડિયા તાલુકાના દરેક ભાજપના કાર્યકરો કે સમાજ જેઓ ટિકિટથી વંચિત રહી ગયા છે તેમના મનમાં ભારે ડૂમો ભરાયો છે, ત્યારે હવે જોવાનું રહ્યું કે ભાજપ દ્વારા પરિવારવાદ અને એક તરફી સમાજને ટિકિટ ફાળવી દેવાતા કાર્યકરોનો મનો મન નો આક્રોશ ચૂંટણી પરિણામ પર કેટલો અસર કરે છે,

અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકા પંચાયતની પાંચ સામાન્ય અને બિન અનામત બેઠકો પર પણ ભાજપ દ્વારા ભાલોદ બેઠક પર માછી સમાજના ઉમેદવારને ટિકિટ ફાળવી છે, જ્યારે ધારોલી મોટા સોરવા, પડાલ, પડવાણિયા જેવી બિન અનામત અને સામાન્ય સ્ત્રી બેઠક પર આદિવાસી સમાજને બેઠક ફાળવી છે, જેથી ભાજપ દ્વારા તાલુકા પંચાયત ઝઘડિયા અને જિલ્લા પંચાયત ભરૂચની તમામ બિન અનામત અને સામાન્ય બેઠકો પર પાટીદારો સહીત સવર્ણ સમાજ ની બાદબાકી કરી ઝઘડિયા તાલુકાના પાટીદારોને બિલકુલ હાંસિયામાં ધકેલી દીધા છે. લોકોમાં ગણઘણા ઉઠ્યો છે કે ભાજપના નીતિ નિયમો સામાન્ય કાર્યક્રમ માટે જ હોય છે બાકી ઝઘડિયા તાલુકામાં બિન અનામત બેઠકોમાં જિસકી લાઠી ઉસકી ભેંસ વાળા બાહુબલીઓજ બેઠકો આંચકીને લઈ ગયા છે, ઝઘડિયા તાલુકા પંચાયત તથા ઝઘડિયા તાલુકામાં સમાવિષ્ટ ચાર જીલ્લા પંચાયત ની બેઠકો પૈકી એક પણ બેઠક પાટીદાર સમાજના ભાજપના દાવેદારોને ફાળવવામાં આવી નથી !

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!