ભરૂચ,
ભૂદેવોના આરાધ્ય ભગવાન શ્રી પરશુરામજીના આગામી જન્મોત્સવના પાવન અવસરને વધાવવા માટે શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લા દ્વારા વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સંગઠન દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ જન્મોત્સવ પૂર્વે જ લોકઉપયોગી કાર્યોથી ઉજવણીનો પ્રારંભ કરવામાં આવશે.
આગામી તારીખ ૧૨ એપ્રિલ ૨૦૨૬, રવિવારના રોજ સવારે ૯ કલાકે સંગઠનના મુખ્ય કાર્યાલય ખાતેથી ‘ભગવાન શ્રી પરશુરામ રોજગાર યોજના’નો આધ્યા કન્સ્ટન્સીના સહયોગથી વિધિવત પ્રારંભ કરવામાં આવશે, જેનો ઉદ્દેશ્ય સમાજના જરૂરિયાતમંદોને રોજગારીના અવસરો પૂરા પાડવાનો છે. આ પ્રસંગે સામાજિક, શૈક્ષણિક અને વિવિધ ક્ષેત્રે વિશેષ પ્રદાન કરનાર પાંચ ‘બ્રહ્મરત્નો’નું સન્માન કરી તેમની સેવાઓને બિરદાવવામાં આવશે.
સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે તારીખ ૧૫ એપ્રિલ ૨૦૨૬, બુધવારના રોજ સોનેરી મહેલ સ્થિત ડો.ગંગુબેન હડકર હાઈસ્કૂલના સહયોગથી શાળા સંકુલ ખાતે સવારે ૧૦ કલાકે નિઃશુલ્ક ડેન્ટલ કેમ્પનું આયોજન કરાયું છે. ડિવાઇન ડેન્ટલ કેરના ડો.દિવ્યાબેન ગાંધીના સહયોગથી યોજાનારા આ કાર્યક્રમમાં શાળાના બાળકો અને તેમના વાલીઓને દાંતની જાળવણી અંગે તજજ્ઞ માર્ગદર્શન આપવામાં આવશે, સાથે જ બાળકોનું ડેન્ટલ ચેકઅપ પણ કરવામાં આવશે.




