– આમોદ નેશનલ હાઈવે નંબર ૬૪ ઉપર અજાણ્યા વાહનની ટક્કરથી વાછરડાનું મોત
ભરૂચ,
આમોદ નગરમાં રખડતા પશુઓને કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.પાલિકા તંત્ર માત્ર રીક્ષા ફેરવી પશુપાલકો સામે કડક કાર્યવાહી કરવાની વાતો કરે છે.ત્યારે પાલિકા કચેરી બહાર જ રખડતી ગાયોને કારણે રાહદારીઓ અને વાહનચાલકો ભય ફેલાયો છે.તાજેતરમાં જ આમોદ-આછોદ માર્ગ પર ગાય સાથે અથડાતાં બાઈકસવાર યુવાનો ઈજાગ્રસ્ત થયા હતા અને કાર વોશ સેન્ટરના ખાડામાં ગાય ખાબકવાની ઘટના બની હતી.છતાં પાલિકા તંત્ર તરફથી કોઈ કડક કાર્યવાહી કરવામાં નહીં આવતા નગરજનોમાં રોષ ફેલાયો છે.
આમોદ નેશનલ હાઈવે નંબર ૬૪ ઉપર બેફામ દોડતા એક અજાણ્યા વાહને માસૂમ વાછરડાને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું.અકસ્માત બાદ માર્ગ પર ચક્કાજામની સ્થિતિ સર્જાતા નગરપાલિકાની ટીમે જેસીબી સાથે દોડી આવી મૃત વાછરડાને ખસેડી ટ્રાફિક પૂર્વવત કરવો પડ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકા કચેરીની બરાબર સામે જ મુખ્ય રસ્તા વચ્ચે પશુઓએ અડિંગો જમાવીને ઊભા રહેતા હોય છે.જેથી વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયાહતા.વાહનોની હેડલાઈટના રિફ્લેક્શનના કારણે રસ્તા વચ્ચે બેઠેલા આ પશુઓ અચાનક નજરે પડતા નથી,જેના લીધે અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે. પાલિકા કચેરીની સામે જ ખુલ્લેઆમ જોવા મળતા રખડતા ઢોરોના અડિંગાથી તંત્રની બેદરકારીની પોલ ખોલી નાખી હતી.છતાં સત્તાધીશો આંખ આડા કાન કરી રહ્યા છે.
રખડતા ઢોરોને કારણે સતત બની રહેલી દુર્ઘટનાઓ,પશુઓના અકાળ મરણ અને નાગરિકોના લોહી રેડાવા છતાં સ્થાનિક તંત્રની લાપરવાહી સામે નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.




