– ઝઘડિયા પંચાયતના મહિલા ઉપસરપંચના પરિવાર દ્વારા પણ સામેવાળાઓ સામે ગુનો દાખલ કરાવવામાં આવ્યો
– ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે સામેવાળાએ ગાળા ગાળી કરી ફરિયાદીની પત્નીને ધક્કો મારતા જમીન પર પટકાયા હતા
(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયા તાલુકાના ઝઘડિયા ગામના રાજપૂત ફળિયામાં રહેતા સુરેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ પરમારે તેમના પાડોશી અને પિતરાઈ ભાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ આ ઝઘડાનું મૂળ મકાન બાંધકામ દરમ્યાન બારી મુકવા મુદ્દે છે.
ફરિયાદી સુરેન્દ્રસિંહ પરમાર છેલ્લા આઠ મહિનાથી તેમના પિતરાઈ ભાઈ જયેન્દ્રસિંહ પરમારની જગ્યાને અડીને આવેલા તેમના પ્લોટ પર મકાન બનાવી રહ્યા છે.બાંધકામ દરમ્યાન જયેન્દ્રસિંહની દીવાલને નુકસાન પહોંચતા સુરેન્દ્રસિંહે તેને રિપેર કરાવી આપી હતી.ત્યાર બાદ સુરેન્દ્રસિંહે ઉપલા માળે જયેન્દ્રસિંહની જગ્યા તરફ બારીઓ મૂકી હતી.
આ બાબતે બંને ભાઈઓ વચ્ચે વિવાદ થયો હતો.જયેન્દ્રસિંહે બારી બંધ કરવા દબાણ કર્યું હતું.જ્યારે સુરેન્દ્રસિંહનું કહેવું હતું કે બારી તેમની પોતાની જગ્યામાં છે.જયેન્દ્રસિંહે આ માટે સુરેન્દ્રસિંહને ફોન કરીને પણ ધમકી આપી હોવાનો આરોપ છે. તારીખ ૨૦ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ,જયેન્દ્રસિંહ પરમાર, હરદીપસિંહ અને જયવીરસિંહે સુરેન્દ્રસિંહના નવા મકાન પાસે આવીને બારી બાબતે ઝઘડો કર્યો હતો.ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે તેઓએ સુરેન્દ્રસિંહ સાથે ઉગ્ર વાતચીત કરી,ગાળો આપી અને જ્યારે સુરેન્દ્રસિંહની પત્ની પ્રતીક્ષાબેને ગાળો ન બોલવા વિનંતી કરી ત્યારે હરદીપસિંહે તેને ધક્કો મારીને જમીન પાડી દીધી હતી.
સ્થાનિક લોકો અને મજૂરો વચ્ચે પડતા મામલો થાળે પડ્યો હતો, અને સામેવાળા ત્યાંથી ચાલ્યા ગયા હતા.એક જ કુટુંબના હોવા છતાં,વારંવારની તકરાર અને પત્ની સાથે થયેલી અસભ્યતાને કારણે,સુરેન્દ્રસિંહ પરમારે આખરે ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં જયેન્દ્રસિંહ ગણપતસિંહ પરમાર પરમાર, હરદીપસિંહ જયેન્દ્રસિંહ પરમાર અને જયવીરસિંહ જયેન્દ્રસિંહ પરમાર વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી છે.પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.




