– નર્મદા નદી અને ગંગા નદીની માટી માંથી ઈકોફ્રેન્ડલી નયનરમ્ય ૬ ઈંચથી ૬ ફૂટની પ્રતિમાઓ
– સ્થાનિક યુવાનો અને વિવિધ ગણેશ મંડળોમાં પર્યાવરણપ્રેમી અભિગમ અપનાવીને માટીની મૂર્તિઓની પસંદગી તરફ વળ્યા
ભરૂચ,
ભરૂચ શહેર અને જીલ્લામાં શ્રીજી ઉત્સવની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે.ત્યારે પશ્ચિમ બંગાળના મૂર્તિકારો પવિત્ર નર્મદા અને ગંગા નદીની માટી માંથી ઈકો ફેન્ડલી શ્રીજી પ્રતિમાનું સર્જન કરી આખરી ઓપ આપવામાં વ્યસ્ત બન્યા છે.
છેલ્લા ૧૨ વર્ષેથી પશ્ચિમ બંગાળના મૂર્તિકારોએ શ્રીજી પ્રતિમાના સર્જન માટે ભરૂચના શ્રવણ ચોકડી નજીક સોસાયટીના કોમન પ્લોટમાં આશ્રય મેળવી રહ્યા છે.શ્રીજીની પ્રતિમા બનાવવા પાવન નર્મદા નદી અને ગંગા નદીની માટી માંથી ઈકોફ્રેન્ડલી નયનરમ્ય ૬ ઈંચથી ૬ ફૂટની પ્રતિમાઓ તૈયાર કરવામાં આવતા શ્રીજી મહોત્સવમાં આયોજકોમાં ભારે માંગ જોવા મળી રહી છે.પશ્ચિમ બંગાળના મૂર્તિકારોએ છેલ્લા ત્રણ મહિનાથી પવિત્ર નર્મદા નદી અને ગંગા નદીની માટી માંથી ૨૦૦ થી વધુ શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરી છે જે ૫૦૦ રૂપિયાથી ૧૫૦૦૦ સુધીની કિંમતે વેચાણ કરવામાં આવે છે.આ શ્રીજી પ્રતિમાઓને રંગ રોગાન સાથે શણગાર કરી આયોજકોની માંગ મુજબ તૈયાર કરવામાં વ્યસ્ત બન્યા છે.પશ્ચિમ બંગાળના મૂર્તિકારો દ્વારા તૈયાર કરવામાં આવતી ઈકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાઓના વિસર્જન દરમ્યાન નર્મદા નદી તેમજ જળાશ્યોના જળમાં સહેલાઈથી ઓગળી જતી હોવાથી જળચર જીવોને પણ નુકસાન થતું નથી તેમજ જળ પ્રદૂષણ પણ અટકાવી શકાય છે તેથી હવે શ્રીજી આયોજકો પણ નર્મદા નદી અને ગંગા નદીની માટી માંથી તૈયાર થતી શ્રીજીની પ્રતિમાઓનું સ્થાપન કરવાનો આગ્રહ રાખી રહ્યા છે.જેથી મૂર્તિકારો પ્રતિમાને આખરી ઓપ આપવામાં વ્યસ્ત બન્યા છે.
ભરૂચના સ્થાનિક યુવાનો અને વિવિધ ગણેશ મંડળોમાં પર્યાવરણપ્રેમી અભિગમ અપનાવીને માટીની મૂર્તિઓની પસંદગી કરવામાં આવી રહી છે. અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે પશ્ચિમ બંગાળના મૂર્તિકારો શ્રીજી ઉત્સવ ઉપરાંત બંગાળી સમાજના દુર્ગા મહોત્સવમાં પણ દુર્ગા માતા સહિત વિવિધ દેવી દેવતાઓની પ્રતિમાઓ પણ નર્મદા અને ગંગા નદીની માટી માંથી તૈયાર કરતા હોય છે.




