– તંત્ર દ્વારા બાળકોના પ્રવાસ માટે મુસાફરીની બસની વ્યવસ્થા કરવામાં આવી
– બાળકોએ અક્ષરધામ મંદિરતેમજ ઈન્દ્રોડા નેચર પાર્ક ખાતે વિવિધ પ્રાણીઓ,સર્પો અને પક્ષીઓનું પ્રત્યક્ષ અવલોકન કરી આનંદ અનુભવ્યો
(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર હેઠળની ધી રીજીઓનલ પ્રોબેશન એન્ડ આફ્ટર કેર એસોસીએશન, રાજપીપળા-નર્મદા દ્વારા સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ,રાજપીપળા ખાતે આશ્રિત કાળજી અને રક્ષણ હેઠળ રહેતા કુલ ૩૩ બાળકોએ પ્રથમ વખત ગાંધીનગર ખાતે વિધાનસભા,અક્ષરધામ મંદિર તથા ઈન્દ્રોડા નેચર પાર્કની શૈક્ષણિક મુલાકાત લીધી હતી.
આ પ્રવાસ માટે મુસાફરીની બસની વ્યવસ્થા નાંદોદ પ્રાંત અધિકારી પરસનજીત કૌર તથા પ્રાંત કચેરીના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.તેમજ ભોજન, પ્રવેશ અને વિવિધ પ્રદર્શનોના ટીકીટ ખર્ચ રાજપીપળાના જાણીતા ઓર્થોપેડિક તબીબ ડૉ.નૈશધ પરમાર દ્વારા ઉદારતા પૂર્વક કરવામાં આવ્યો હતો.ઉપરાંત નાંદોદ ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ દ્વારા અત્યંત ટૂંકા સમયમાં વિધાનસભાની મુલાકાત માટે જરૂરી મંજૂરી અપાવવામાં આવી હતી.
આ પ્રવાસ દરમ્યાન ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ વિધાનસભામાં ઉપસ્થિત હોવાથી બાળકોએ વિધાનસભામાં પ્રવેશ મેળવી ધારાસભા ગૃહમાં બેસી ગૃહની કાર્યપદ્ધતિ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી.આ અવસરે ધારાસભ્ય દ્વારા બાળકોને લોકશાહી પ્રક્રિયા અને વિધાનસભાની કામગીરી અંગે સરળ ભાષામાં સમજ આપવામાં આવી હતી.આ ઉપરાંત બાળકોએ અક્ષરધામ મંદિર ખાતે દર્શન કરી વિવિધ પ્રદર્શનો નિહાળ્યા તેમજ ઈન્દ્રોડા નેચર પાર્ક ખાતે વિવિધ પ્રાણીઓ, સર્પો અને પક્ષીઓનું પ્રત્યક્ષ અવલોકન કરી આનંદ અનુભવ્યો હતો.




