ભરૂચ,
૧૧મી ફેબ્રુઆરીએ પંડિત દિનદયાલ ઉપાધ્યાયની પુણ્યતિથિ ‘સમર્પણ દિવસ’ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભાવભીની પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમ્યાન પંડિત દિનદયાલ ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના આદર્શો અને રાષ્ટ્રનિષ્ઠ સેવાઓને યાદ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે પ્રદેશ કારોબારી સભ્ય ડૉ.આસવભાઈ પટેલે પંડિત દિનદયાલ ઉપાધ્યાયના જીવન, તેમના એકાત્મ માનવવાદના સિદ્ધાંત અને દેશના વિકાસ માટેના યોગદાન પર વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પંડિતના વિચારો આજે પણ રાષ્ટ્ર નિર્માણ માટે પ્રેરણાસ્ત્રોત સમાન છે.
કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, શહેર પ્રમુખ જતીન શાહ સહિત સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.સમર્પણ દિવસ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમ દ્વારા ભાજપ કાર્યકરોએ પંડિત દિનદયાલ ઉપાધ્યાયના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.




