ભરૂચ,
ભરૂચના નંદેલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં સામાજિક સુવિધાઓને વધુ સશક્ત બનાવવા દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.ગ્રામ પંચાયત દ્વારા આશરે રૂા.36 લાખના ખર્ચે નિર્માણ પામેલા અદ્યતન સુવિધાસભર ડો.બાબાસાહેબ આંબેડકર ભવન મળીને કુલ 43.56 લાખના કામોના વિકાસના કામોનું આજ રોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના મહાનુભાવોના હસ્તે લોકાર્પણ અને ખાતમુર્હુત કરાયું હતું.
મહાન સમાજ સુધારક અને બંધારણના શિલ્પી ડો.બાબા સાહેબ આંબેડકરના નામે ભરૂચના નંદેલાવ ગામમાં નિર્માણ પામેલા ભવનનું લોકાર્પણ પ્રસંગે મહેમાનોના હસ્તે રીબીન કાપી ભવન જનતા માટે ખુલ્લું મુકાયું હતું.ત્યારબાદ ગામના વિકાસને વેગ આપતા વિવિધ કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમો પણ યોજાયા હતા.જેમાં આંતરિક રસ્તાઓ, સુવિધા વિસ્તરણ અને અન્ય પ્રાથમિક સુવિધા સંબંધિત વિકાસ કાર્યોનો સમાવેશ થતો હોવાનું ગ્રામ પંચાયત તંત્રએ જણાવ્યું હતું.
ગ્રામ્ય વિસ્તારમાં સામાજિક, શૈક્ષણિક અને જાહેર પ્રવૃત્તિઓ માટે ઉપયોગી સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.કાર્યક્રમ દરમ્યાન આગેવાનો દ્વારા ગ્રામ વિકાસ, શિક્ષણ પ્રોત્સાહન, સામાજિક એકતા અને સરકારી યોજનાઓના લાભ ગ્રામ્ય સ્તરે પહોંચાડવા અંગે સંબોધન કરવામાં આવ્યું હતું. ભવન ગામના યુવાનો, મહિલાઓ તથા સામાજિક સંસ્થાઓ માટે બેઠક, તાલીમ, શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને જાહેર કાર્યક્રમો યોજવા માટે કેન્દ્રસ્થાનરૂપ બનશે તેવું પણ જણાવાયું હતું.
કાર્યક્રમમાં વિસ્તારના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, ગામના સરપંચ લક્ષ્મી ચૌહાણ, તાલુકા પંચાયત સભ્ય ભૂમિકા પટેલ અને જયશ્રી વાછાણી, ઉપસરપંચ સંજય સોલંકી સહિતના પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.




