– ભરૂચથી દાહોદ – ઝાલોદ અને સૌરાષ્ટ્રના રૂટ પર 27 મી ફેબ્રુઆરીથી એક્સ્ટ્રા બસો દોડશે
ભરૂચ,
ભરૂચ એસ.ટી.વિભાગ દ્વારા હોળી પુળેટીના તહેવારને ધ્યાને રાખી પંચમહાલ તરફના શ્રમજીવીઓને તેમના વતન તરફ જવા માટે 27 મી ફેબ્રુઆરીથી એક્સ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવનાર છે.જે માટે 100 વધારાની ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાતના પંચમહાલ દાહોદ સહિતના પંથકમાં હોળીનો તહેવારનું ખૂબ મહત્વ હોય છે.જેથી અલગ અલગ શહેરમાં કામ કરવા ગયેલા શ્રમિકો હોળીનો તહેવાર પોતાના વતનમાં જ કરતા હોય છે.ભરૂચ જિલ્લામાં પંચમહાલ તરફના મોટી સંખ્યામાં લોકો કંપનીઓમા, કન્સ્ટ્રક્શન માં કામ કરતાં હોય છે.હોળીના સમયે શ્રમિકોને પોતાના વતન જવામાં કોઈ તકલીફ ન થાય તે માટે ભરૂચ ડેપો તરફથી 27 મી ફેબ્રુઆરીથી એક્સ્ટ્રા બસની વ્યવસ્થા કરવામાં આવી છે.જે ભોલાવ ડેપો, નર્મદા ચોકડી ડેપો તેમજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી બસ ડેપો ઉપરાંત આમોદ, જંબુસર ઝઘડિયા,રાજપીપળા વિગેરે ડેપોથી બસો ઉપડશે.
ભરૂચ એસ.ટી વિભાગીય અધિકારી અનિલ સોલંકીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે 27 મી ફેબ્રુઆરીના પ્રથમ દિવસે 25 વધારાની બસો દોડાવવામાં આવશે જે બાદ અને 4 માર્ચ સુધી 20 બસો દોડાવવામાં આવશે.આમ 100 વધુ બસો એક્સ્ટ્રા સંચાલન થકી મોકલવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.તેમજ શ્રમયોગીઓને વતન જવા અર્થે 50 કરતા વધુ મુસાફરો હશે તો આખી બસને “એસ.ટી આપના દ્વારે” સૂત્ર હેઠળ તેઓને તેઓના કામ કરવાના સ્થળથી બસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે જેથી તેઓ પોતાના વતન સરળતાથી પહોંચી શકશે,જે માટે તેઓ ડેપો મેનેજર તેમજ સુપરવાઈઝરનો સંપર્ક કરી બસની માંગણી કરી શકશે.




