– સર્વ જ્ઞાતિની ૬૭૫ કુંવારિકાને ચૈત્રી નવરાત્રી આઠમના પાવન દિવસે ગોયણી કરી પુજન પ્રસાદ તેમજ ભેટ દક્ષિણા આપવામાં આવી
– માં ખોડલ સાથે સાત બહેનો અને રામ, લક્ષ્મણ અને સીતાજીના બાળ સ્વરૂપોએ આકર્ષણ જમાવ્યું : ૫૦ થી વધુ મહિલા પુરૂષ કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી
ભરૂચ,
ચૈત્ર માસની નવરાત્રિ અને આઠમના પાવન અવસર પર શ્રી ખોડલધામ સમિતિ અંકલેશ્વર દ્વારા ૬૭૪ કુંવારિકાને ચૈત્રી નવરાત્રી નિમિત્તે ગોયાણી કરી તેમનું પુજન પ્રસાદ તેમજ ભેટ આપવામાં આવી હતી. એક ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધા અને ભક્તિના સંગમ સમાન આ પ્રસંગે ચૈત્ર સુદ આઠમના ‘નિવેદ’ નિમિત્તે મહાપ્રસાદનું સુંદર આયોજન થયું હતું, સર્વ જ્ઞાતિની કુંવારિકાનું શ્રી ખોડલધામ સમિતિ અંકલેશ્વર એ પ્રથમ વખત ભોજન અને પૂજન કરાવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉમળકાભેર ભાગ લીધો હતો.ભક્તિમય માહોલ અને માં ખોડલ સહિત સાત બહેનોના તથા રામ, લક્ષ્મણ અને માતા સીતાજીના બાળ સ્વરૂપોનું આકર્ષણ જોવા મળ્યું હતું, બાળકોના આ દિવ્ય સ્વરૂપોએ ઉપસ્થિત સૌ કોઈના મન મોહી લીધા હતા અને સમગ્ર વાતાવરણમાં એક અનોખી ધાર્મિકતા ફેલાઈ હતી. ભક્તોએ આ બાળ સ્વરૂપોના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સેવા અને સમર્પણનો સંગમ આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી ખોડલધામ મહિલા સમિતિ, શ્રી ખોડલધામ યુવા સમિતિના ૫૦ જેટલા કાર્યકરોએ ખંતપૂર્વક સેવા આપી હતી. આ પ્રસંગે શ્રી ખોડલધામ દક્ષિણ ગુજરાત ઝોન અધ્યક્ષ અને ટ્રસ્ટી ભરત પટેલ, મનસુખ રાદડિયા, પંકજ ભુવા, જીલ્લા કન્વીનર જયશીલ પટેલ અને અંકલેશ્વર સમિતિ કન્વીનર વિપુલ વેકરીયા, અમીબેન સોજીત્રા તથા તેમની ટીમ તેમજ દરેક સમિતિના સભ્યો, સ્થાનિક અગ્રણીઓ અને ભાવિકોએ ઉપસ્થિત રહી માં ખોડલના આશીર્વાદ મેળવ્યા હતા અને અંકલેશ્વર સમિતિની આ ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી હતી.




