ભરૂચ,
ભરૂચના અયોધ્યા નગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આવેલા વર્ષો જૂના બળિયાદેવ મંદિરની મૂર્તિને કોઈ અજાણ્યા અસામાજિક તત્ત્વો દ્વારા તોડી પાડવામાં આવતા સ્થાનિક રહીશોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે અને પોલીસને જાણ કરી કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
ભરૂચ શહેરની મધ્યમાં આવેલ અયોધ્યા નગર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આજે જ્યારે સ્થાનિક મહિલાઓ બળિયાદેવ મંદિરે પૂજા અર્ચના કરવા અને ઠંડુ ખાવાની પરંપરા મુજબ પાણી ચઢાવવા પહોંચી હતી.ત્યારે તેમને મંદિરની પવિત્ર મૂર્તિ ક્ષતિગ્રસ્ત હાલતમાં જોવા મળી હતી. અજાણ્યા તત્ત્વોએ મૂર્તિનું ધડ અને અન્ય ભાગો તોડી નાખ્યા હતા જેનાથી શ્રદ્ધાળુઓની લાગણી દુભાઈ હતી.
સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે “અમે નાનપણથી આ મંદિરને જોતા આવ્યા છીએ.આજે જ્યારે અમે અહીં પાણી ચઢાવવા આવ્યા ત્યારે જોયું કે કોઈએ આખી મૂર્તિ તોડી નાખવા સાથે અન્ય વસ્તુઓને પણ નુકશાન કરાતા પોલીસ આ મામલે કડક કાર્યવાહી કરે અને ગુનેગારોને સજા અપાવે તેવી માંગ કરવામાં આવી હતી.
આ ઘટના અંગે સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે.જોકે હજુ સુધી આ કૃત્ય કોણે કર્યું છે તે બહાર આવ્યું નથી.ત્યારે પોલીસ તપાસમાં શું બહાર આવે છે તે જોવું રહ્યું.




