ભરૂચ,
ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન મંત્રીનો હોદ્દો ધરાવતા નયના વકીલના પતિ નીતિન વકીલે અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભરૂચ જિલ્લામાં રાજકીય ગરમાવો વધ્યો છે કારણ કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા નેતાના પરિવાર તરફથી જ બગાવતના સૂર ઉઠ્યા છે.ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન મંત્રીનો હોદ્દો ધરાવતા નયના વકીલના પતિ નીતિન વકીલે અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે.નીતિન વકીલ અગાઉ ભાજપના ઉમેદવાર તરીકે જીત મેળવી ચૂક્યા છે.પરંતુ આ વખતે તેમણે વોર્ડ નંબર 1માંથી અપક્ષ તરીકે મેદાનમાં ઉતરી રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો છે.પાર્ટીના જ સંગઠન મંત્રીના પતિએ આવું પગલું ભરતા આંતરિક મતભેદો બહાર આવ્યા હોવાની ચર્ચા તેજ બની છે.આ વોર્ડમાં પ્રવીણ મોદી,જાગૃતિ આંદાવાલા અને યોગીતા પટેલ સહિતના ઉમેદવારોએ પણ ઉમેદવારી નોંધાવી છે, જેના કારણે સ્પર્ધા વધુ રસપ્રદ બનવાની સંભાવના છે.
આ દરમિયાન ભાજપમાં શિક્ષિત અને સક્રિય આગેવાનોને અવગણવામાં આવતા હોવાના આક્ષેપો નીતિન વકીલ દ્વારા કરવામાં આવ્યા છે ત્યારે વોર્ડ નંબર 1 ની ચૂંટણી રસાકસી ભરી બને એવી શક્યતા છે.




