(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા નવા નવા રાજકીય સમીકરણો બનતા હોય છે. પાર્ટીનો એક જ ઉદ્દેશ હોય છે કે કોઈપણ હિસાબે ચૂંટણી જીતવી નર્મદાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીજંગ આ વખતે ખરાખરીનો જંગ છે.ખાસ કરીને નવા જિલ્લા પ્રમુખ સામે એક તરફ ટિકિટ વહેંચણી માટે વ્હાલા દવલાની નીતિનો ઉમેદવારો અને કાર્યકર્તાઓનો આરોપ છે.જિલ્લા પ્રમુખ સામે વિરોધ અને નારાજગીનો સૂર વહેતો થયો છે ત્યારે જિલ્લા પ્રમુખ હવે ચૂંટણી જંગ જીતવા યેન કેન પ્રકારેણ દાવ પેચ ખેલી રહ્યાં છે એમાં કોંગ્રેસ, અને આપના ઉમેદવારોને, કાર્યકરો ને ભાજપા માં જોડવાની કવાયત ચાલી રહી છે તો હવે એક સમયે ભાજપા પાર્ટીએ જ સસ્પેન્ડ કરેલા ભાજપાના આગેવાનોને ચૂંટણી ટાણે તેમની ગરજ વર્તાતી હોય તેમ તેમની ઘર વાપસી કરી ફરીથી પાર્ટીમાં સામેલ કરવાની કવાયત શરૂ કરી છે.જેમાં નર્મદા સુગરની ચૂંટણી વખતે ચેરમેન ઘનશ્યામ પટેલની સામે મેદાને પડેલા સુનિલ પટેલને પાર્ટીએ પાર્ટી વિરુદ્દ કાર્ય કરવા સામે પાર્ટી અધ્યક્ષ સી આર પાટીલની સૂચનાથી પાર્ટીએ તેમને સસ્પેન્ડ કર્યા હતા.હવે સુનિલ પટેલની ઘર વાપસી કરીને આડકતરી રીતે ઘનશ્યામ પટેલની સામે એમના વિરોધી સુનિલ પટેલને પાર્ટીમાં પાછા લઈ એક કાંકરે બે પક્ષીઓ મારવાનો જિલ્લા પ્રમુખનો દાવ ભારે ચર્ચાનો વિષય બન્યો છે.સુનિલ પટેલની સાથેસુનિલ પટેલ, સોમા વસાવા તથા દિનેશ બારીયાને ભાજપમાં શ્રી કમલમ ખાતે પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે.
જિલ્લા પ્રમુખ નીલ રાવે જણાવ્યું હતું કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની જીત માટે સૌ કાર્યકરો એકજૂટ થઈને જનસંપર્ક અને પ્રચાર કાર્યમાં જોડાશે.હવે એ જોવું રહ્યું કે દૂધના દાઝેલા આ આગેવાનો છાસ ફૂંકી ફૂંકીને પીશે કે કેમ એ તો હવે આગામી સમય જ બતાવશે. જોકે આ નિર્ણયથી ઘણા પાયાના કાર્યકર્તાઓ અને આગેવાનોમાં નારાજગીનો સૂર પણ જોવા મળ્યો છે ત્યારે આ ચૂંટણીમાં એના કેવા પ્રત્યાઘાતો પડે છે એ હવે જોવું રહ્યું.




