(ભાવેશ પંડ્યા,ભાલોદ)
ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે આજે શીતળા સાતમ પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી.ગામની મહિલાઓ નર્મદા નદી કિનારે એકત્ર થઈ શીતળા માતાની વિધિવત પૂજા-અર્ચના કરી હતી.
શ્રાવણ વદ સાતમના દિવસે ઉજવાતા શીતળા સાતમ પર્વ નિમિત્તે મહિલાઓ દ્વારા પરંપરા મુજબ ચુલો ઠારી તેની પૂજા કરવામાં આવી હતી.રાંધણ છઠ્ઠના દિવસે વિવિધ વાનગીઓ તૈયાર કરી સાતમના દિવસે ગરમ રસોઈ ન બનાવવાની પરંપરા છે.આ દિવસે પરિવારજનો દ્વારા અગાઉથી તૈયાર કરેલી ઠંડી રસોઈ આરોગવામાં આવે છે.ભાલોદ ગામની મહિલાઓએ નર્મદા નદી કિનારે શીતળા માતાને દૂધ અને પાણીનો અભિષેક કરી દીવો પ્રગટાવ્યો હતો.ત્યાર બાદ શ્રદ્ધાપૂર્વક પૂજા-અર્ચના કરી પરિવારની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.




