ભરૂચ,
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ભરૂચ દ્વારા જિલ્લા જેલ ખાતે રક્ષાબંધન તથા “નશામુક્ત ભારત અભિયાન” અંતર્ગત વ્યસનમુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી, ગુજરાત રાજ્ય, અમદાવાદ તેમજ નાયબ મહાનિરીક્ષક (જેલ) વડોદરા ઝોન કચેરીના માર્ગદર્શન હેઠળ ઈ.ચા.અધિક્ષક એન.પી.રાઠોડના નેતૃત્વ હેઠળ ભરૂચ જિલ્લા જેલ ખાતે આજ તા. ૧૯/૦૮/૨૦૨૬ ના રોજ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિધ્યાલય, ભરૂચ દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી તથા “નશામુક્ત ભારત અભિયાન” અંતર્ગત વ્યસનમુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ભરૂચની બહેનોએ જેલમાં રહેલા બંદિવાનોને તિલક કરી રાખડી બાંધી મોઢું મીઠુ કરાવી ભાઈ-બહેનના પવિત્ર સંબંધની લાગણીને ઉજાગર કરી હતી.આ પ્રસંગે બંદિવાનોની સુખાકારી, સ્વસ્થ જીવન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
આ સાથે “નશામુક્ત ભારત અભિયાન” અંતર્ગત યોજાયેલા વ્યસનમુક્તિ કાર્યક્રમમાં વ્યસનના કારણે શારીરિક, માનસિક, સામાજિક અને આર્થિક દુષ્પરિણામો અંગે તમામ બંદિવાનોને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવેલ તથા તમાકુ, ગુટખા, બીડી-સિગારેટ, દારૂ તેમજ અન્ય નશીલા પદાર્થોથી દૂર રહેવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે બંદિવાનોને પ્રેરિત કરી વ્યસનથી દૂર રહેવા શપથ લેવડાવવામાં આવેલ સાથે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ભરૂચની બહેનો દ્વારા રાજયોગ ધ્યાન,આત્મચિંતન અને સકારાત્મક વિચારસરણી દ્વારા મનને શાંત રાખી જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા અંગે પણ માર્ગદર્શન આપી બંદિવાનોને વ્યસનમુક્ત જીવન જીવવા તથા જેલમાંથી મુક્ત થયા બાદ પરિવાર અને સમાજમાં સારા નાગરિક તરીકે પુનઃસ્થાપિત થવા માટે પ્રેરણા આપવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ અને પ્રેરણાદાયી વાતાવરણમાં સંપન્ન થયો હતો.




