– બે વાર વાયર તૂટવા છતાં કોઈ અધિકારી જવાબદારી લેવા તૈયાર ન થતા ખેડૂતો અને વાહન ચાલકોમાં રોષ : તંત્ર બેજવાબદાર લોકો સામે કાર્યવાહી કરે તેવી માંગ
ભરૂચ,
ભરૂચ જિલ્લામાં હાઈટેન્શન વીજ લાઈનનો ચાલુ વાયર તૂટીને માર્ગ પર પડતાં ચકચાર મચી ગઈ હતી.કરમાડ-વાંસી રોડ પર હાઈટેન્શન લાઈનનો જીવંત વીજ વાયર અચાનક તૂટી પડતા માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકો અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
ભરૂચ જીલ્લા માંથી હાઈટેનશન લાઈન પસાર થાય છે.જેની કામગીરી ચાલુ છે. ત્યારે ભરૂચના કરમાડ – વાંસી રોડ પર હાઈટેન્શન લાઈનના વાયર તૂટવાની બીજી ઘટના સામે આવી ચૂકી છે.વારંવાર ચાલુ વીજ વાયર તૂટવાની ઘટનાઓને પગલે ખેડૂતો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ચાલુ વીજ વાયર માર્ગ પર પડતાં કોઈ મોટી જાનહાનિ સર્જાય નહીં પંરતું બેજવાબદાર અધિકારીઓ સામે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.
સ્થાનિકો અને ખેડૂતો દ્વારા પાવર ગ્રીડ તેમજ કેવીસી કંપનીની કામગીરી સામે ગંભીર બેદરકારીના આક્ષેપ કરવામાં આવ્યા છે. બે વખત વાયર તૂટવાની ઘટના બનવા છતાં કોઈ અધિકારી જવાબદારી સ્વીકારવા તૈયાર નથી.હાઈટેન્શન લાઈનનો વાયર માર્ગ પર પડવાથી લોકોના જીવ જોખમમાં મુકાતા ખેડૂતો અને વાહનચાલકોમાં ભારે રોષ ફેલાયો છે.સ્થાનિકોએ તંત્રને સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ કરી બેદરકાર જવાબદારો સામે કાર્યવાહી કરવાની તેમજ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે કાયમી સુરક્ષાત્મક પગલાં ભરવાની માંગ કરી છે.




