– યાત્રામાં રાજ્યસભાના સાંસદ મુકેશ રાઠવા, સાધુ સંતો, રાજકીય આગેવાનો સહિત શિવ ભક્તો જોડાયા
ભરૂચ,
અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણાથી હિન્દુ ધર્મ સેના ભરૂચ જીલ્લા દ્વારા ભરૂચથી કાવી કંબોઈની સમરસ કળશ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવતા સાધુ સંતોએ શ્રધ્ધાભેર પ્રસ્થાન કરાવી હતી.જે સોમવારના રોજ જંબુસરના કાવી કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે પહોંચી રુદ્ર અભિષેક કરી પૂર્ણ કરવામાં આવશે.
હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે જેથી શિવ ભક્તો ભક્તિ સાથે શિવ આરાધનામાં લીન બન્યા છે.ત્યારે અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના ભરૂચ દ્વારા સનાતન ધર્મ અને સંસ્કૃતિના પ્રસાર અને સંવર્ધનના આશયથી આયોજિત સમરસ કળશ કાવડ યાત્રાની શરૂઆત ભરૂચના ડભોઈયા વાડ સ્થિત પ્રગટેશ્વર મહાદેવને પાવન નર્મદાના જળથી સાધુ સંતોએ અભિષેક કરી કાવડ યાત્રાને શ્રધ્ધાભેર ડભોઈયા વાડ ખાતેથી પ્રસ્થાન કરાવી હતી. આ યાત્રા મહંમદપુરા,જંબુસર બાયપાસ સહિતના વિવિધ માર્ગો પરથી પસાર થતા ૧૦૮ કાવડોનું ઠેર ઠેર પુષ્પોની વર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું હતુ.આ કળશ કાવડ યાત્રા શનિવારના સમગ્ર દિવસ દરમ્યાન શિવભક્તો કાવડ લઈને પગપાળા ચાલશે જે વિવિધ માર્ગો પરથી પસાર થઈ બીજા દિવસે જંબુસર ખાતે પહોંચશે અને વિરામ લઈ સોમવારની સવારે કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ ખાતે પહોંચશે.તપસ્યા પૂર્વક પગપાળા ચાલીને પોતાના મનોરથો પૂર્ણ થવા સાથે જીવનમાં સુખ શાંતિ અને સમૃધ્ધિ મળે અને વિશ્વના કલ્યાણ અર્થે સ્તંભેશ્વર મહાદેવ પર જળાભિષેક કરશે.

ભરૂચમાં યોજાયેલ સમરસ કાવડયાત્રાને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.તો કાવડ યાત્રિકોને પણ કોઈ સમસ્યા ન સર્જાય તે માટે હિન્દુ ધર્મ સેના દ્વારા એમ્બ્યુલન્સ સહિતની સુવિધા કરવામાં આવી હતી.
આ પ્રસંગે શંકરાચાર્ય મઠના વ્યવસ્થાપક મુક્તાનંદ મહારાજ, સનાતન ધર્મના ગાદીપતિ સોમદાસ બાપુ,રાજ્યસભાના સાંસદ મુકેશ રાઠવા,હિન્દુ ધર્મ સેનાના દક્ષિણ ગુજરાતના પ્રમુખ સુધીરસિંહ અટોદરિયા,જીલ્લા પ્રમુખ પ્રયાગરાજસિંહ વાસદીયા, જીલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિત સાધુ સંતો તેમજ ભાવિક ભક્તો જોડાયા હતા.




