– સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયાથી આમ આદમી પાર્ટી પર કરેલા આક્ષેપોથી રાજકારણ ગરમાયું : હિન્દુ સમાજમાં રોષ
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ફુલસર ફોરેસ્ટ રેન્જમાં આવેલા બૂરી ગામ ખાતે હનુમાનજી અને અન્ય દેવી-દેવતાઓના સ્થાનકો પર તોડફોડ અને પવિત્ર વડના ઝાડને ઉખાડી નાખવાની ઘટનાએ ચકચાર મચાવી છે. આ ઘટનાએ સ્થાનિક હિન્દુ સમાજ અને આદિવાસી ભાઈ-બહેનોમાં રોષ ફેલાવ્યો છે.બૂરી ગામનું આ ધાર્મિક સ્થળ ફુલસર, બેબાર, દૂથર સહિત અનેક ગામોના ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે, જ્યાં નિયમિત પૂજા-અર્ચના થતી હોય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમુક અસામાજિક તત્વોએ જેસીબીની મદદથી વડનું ઝાડ ઉખાડી નાખ્યું હતું. ધાર્મિક સ્થાનકો તોડી નાખ્યા અને ધ્વજા ગાયબ
કરી દીધી. આ ઉપરાંત, ઉપસ્થિત લોકોને ધમકાવી અને શારીરિક હિંસા કરવાનો પણ આરોપ છે.ત્યારે આ ઘટના સામે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે.તેમણેઆ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે.અને આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરો અને હિન્દુ વિરોધી સમર્થકો પર આ ઘટના માટે આરોપ લગાવ્યો છે.
અમુક આમ આદમી પાર્ટીના અસામાજિક કાર્યકર્તાઓ અને હિન્દુ વિરોધી સમર્થકો દ્વારા આ સ્થાન પર જેસીબી ની મદદથી વડનું ઝાડ ઉખાડી નાખવામાં આવ્યું હોવાનો આક્ષેપ સાંસદ મનસુખ વસાવાએ લગાવતા મામલો ગરમાયો છે.
તેમણે જણાવ્યું,કે “આવી ઘટનાઓ આદિવાસી અને હિન્દુ સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડે છે. રાજકીય પક્ષોએ સકારાત્મક અને વિકાસલક્ષી રાજનીતિ કરવી જોઈએ.”સ્થાનિક પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને વન વિભાગને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી છે. સ્થાનિક આગેવાનો અને ભક્તોએ માગ કરી છે કે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ધાર્મિક સ્થળનું પુનર્નિર્માણ કરવામાં આવે. આ ઘટનાને લઈને સમાજમાં શાંતિ જળવાય અને આવી ઘટનાઓ ન બને તે માટે સ્થાનિક વહીવટને સંવાદ અને જાગૃતિ દ્વારા પગલાં લેવાની અપીલ કરવામાં આવી છે.
સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી સામે સોસીયલ મીડિયામાં પ્રહારો કરતાં જણાવ્યું છે કે સકારાત્મક રાજનીતિ કરવાની જગ્યાએ આવી તુષ્ટિકરણની અને નકારાત્મક રાજનીતિ કરીને હિન્દુ વિરોધીઓને સમર્થન કરી વાતાવરણ ઢોહળવાનો સતત પ્રયાસ કરે છે.પ્રજાએ આમ આદમી પાર્ટી અને એમની નકારાત્મક વિચારધારાને ઓળખવાની જરૂર છે. હિન્દુ વિરોધી વિચારધારા ને સમર્થન હોય કે હિન્દુ સંસ્કૃતિ પર ટીકા ટિપ્પણી હોય આમ આદમી પાર્ટી હંમેશા એવા લોકોને આગળ કરી રાજનીતિ કરે છે.પોતાની સ્વાર્થની રાજનીતિ અર્થે વારંવાર હિન્દુ દેવી દેવતાઓ પર કટાક્ષ કરનાર આમ આદમી પાર્ટી અને એની વિચારધારાને સૌએ ઓળખવાની જરૂર છે.
હું આ સમગ્ર ઘટનાને સખત શબ્દોમાં વખોડું છું અને આમ આદમી પાર્ટીના નેતાઓને કહેવા માંગુ છું કે આદિવાસીઓમાં ભાગલા ના પાડીને સકારાત્મક અને વિકાસલક્ષી રાજનીતિ કરો.




