– જર્જરીત શાળા અને વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાથી સ્ટેશન રોડ મિશ્ર શાળા ૬ માં મર્જ કરાઈ : ઈન્ચાર્જ શાસનાધિકારી ભરત સલાટ
– નગરપાલિકા શિક્ષણ સમિતિની મળેલ બેઠકમાં લેવાયો નિર્ણય
– દાંડિયા બજાર સ્થિત શાળામાં બાળકોને ઉચ્ચ શિક્ષણ મળવા સાથે તમામ વિષયના શિક્ષકો મળી રહેશે
ભરૂચ,
ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્રા શાળા ક્રમાંક ૧૦ અને ૩૫ ને છેલ્લા બે દિવસથી અચાનક તાળા મારી દેતા વિદ્યાર્થીઓના ભણતર પર ગંભીર અસર પડતા વાલીઓમાં રોષ જોવા મળ્યા બાદ શાળાને અન્ય સ્થળે મર્જ કરવામાં આવ્યો હોવાનો ઈન્ચાર્જ શાસનાધિકારીએ ખુલાસો કર્યો હતો.
ભરૂચ શહેરની મધ્યમાં આવેલ રાવળીયા વાડ વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભરૂચ સંચાલિત દ્વારા છેલ્લા ૪૫ વર્ષ ઉપરાંતથી શાળા ચાલતી આવી રહી હતી. વિદ્યાર્થીઓ શાળાએ આવતા શાળાના દરવાજાએ તાળા લગતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો.
શાળા બંધ થવાના મામલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભરૂચના ઈન્ચાર્જ શાસનાધિકારી ભરત સલાટે જણાવ્યું હતું કે સ્ટેશન રોડ મિશ્ર શાળા ક્રમાંક નંબર ૧૦ ના અને ૩૫ ૪૫ વર્ષ થી વધુ સમયથી શાળા ભાડાના મકાનમાં ચાલતી હતી.જે શાળા જર્જરીત હોય અને ગરમીમાં વિદ્યાર્થીઓ બેસી શકતા ન હોય જેથી શાળાના આચાર્ય દ્વારા રજૂઆત મળી હતી.જે રજૂઆતને ધ્યાને લઈ ભરૂચ નગરપાલિકા શિક્ષણ સમિતિની બેઠકમાં આ બાબતે ચર્ચા વિચારણા કર્યા બાદ આ બંને શાળાને નજીકમાં આવેલ દાંડિયા બજાર મિશ્ર શાળા ક્રમાંક ૬ માં મર્જ કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓની સુરક્ષા અને સારા ભણતરની ચિંતા કરી આ શાળાને મર્જ કરવામાં આવી છે.જ્યાં વિદ્યાર્થીઓ ડિજિટલ બોર્ડ પર અભ્યાસ કરવા સાથે તમામ વિષયના શિક્ષકો ભણાવી શકશે જેથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજવળ બની શકે.વાલીઓ અને શિક્ષકો વચ્ચે કોમ્યુનિકેશન ગેપ પડવાના કારણે શાળા બંધ કરી દેવામાં આવી હોવાની ખોટી માહિતી વાલીઓ સુધી પહોંચતા આ ઈસ્યૂ ઉભો થયો હતો.પરંતુ હવે શાળા મર્જ કરવાના કારણે ત્યાંના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જઈ રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે સ્ટેશન રોડ મિશ્ર શાળા ક્રમાંક નંબર ૧૦ અને ૩૫ છેલ્લા ઘણા વર્ષોથી નજીવા ભાડે ચાલી રહી હતી.પરંતુ છેલ્લા પાંચ વર્ષ થી ભાડું નહીં ચૂકવામાં આવતા મકાન માલિકે મિલ્કત પરત માંગી હોવાની ચર્ચાઓએ હાલ તો જોર પકડ્યું છે.




