– ધારાસભ્ય સહિત નગરજનોએ લાલજી મહારાજની આરતી કરી ધન્યતા અનુભવી
આમોદ,
આમોદના કાછીયાવાડ ખાતે આવેલા લક્ષ્મીનારાયણ મંદિરે ધારાસભ્ય ડી.કે.સ્વામી,આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક,આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી,મહામંત્રી હિતેશ શાહ,ભાવિક પટેલ,આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, મહામંત્રી હિતેશ પટેલ, મયુરસિંહ રાજ,મંદિરનાં ટ્રસ્ટીઓ હસમુખ અંબાલાલ પટેલ,કમલેશ ભગત, પ્રમોદ પટેલ સહિત કાછીયા પટેલ સમાજના આગેવાનો દ્વારા આરતી કર્યા બાદ લાલજી મહારાજની પાલખીમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.લાલજી મહારાજ નગરયાત્રાએ નીકળતા લોકોએ દર્શનનો લાભ લીધો હતો.બેન્ડના સુમધુર સુર સાથે મોટી સંખ્યામાં કાછીયા પટેલ સમાજના યુવાનો,વડીલો, મહિલાઓ ભક્તિભાવ સાથે નગરયાત્રામાં જોડાયા હતા.બહુચરાજી મંદિર ખાતે બાપા સીતારામ સેવા સમિતિ દ્વારા ઢોલ નગારાં સાથે લાલજી મહારાજની નગરયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.આમોદના મોટા તળાવ ખાતે લાલજી મહારાજને શુધ્ધ જળથી સ્નાન વિધિ કરાવ્યા બાદ દરેક સમાજનાં આગેવાનો દ્વારા લાલજી મહારાજની આરતી ઉતારવામાં આવી હતી.ત્યાર બાદ યજમાન ઘરે ઘરે ફરી લાલજી મહારાજે થાળ ગ્રહણ કર્યો હતો અને ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.તેમજ આમોદના ગાંધીચોક,ટાવર ચોક ખાતે લાલજી મહારાજની બેઠક કરવામાં આવી હતી.જ્યાં અન્ય સમાજના આગેવાનો દ્વારા પણ ઉપસ્થિત રહી આરતી કરી લાલજી મહારાજનું પૂજન કર્યું હતું.ત્યાર બાદ લાલજી મહારાજની શોભાયાત્રા સાથે કાછીયા પટેલ સમાજ દ્વારા ટ્રેકટરમાં પરીઓનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો.જેમાં નાના બાળકોએ રામ, લક્ષ્મણ,સીતા,શંકર ભગવાન હનુમાનની વેશભૂષા ધારણ કરી હતી.જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.જે પરીઓના વરઘોડામાં બેન્ડની સુમધુર સુરાવલી ઉપર ભક્તિ તેમજ ફિલ્મી ગીતોના સથવારે યુવાનો ઝૂમી ઉઠ્યા હતા.રાત્રીના સમયે ચાલુ વરસાદમાં પણ કાછીયા સમાજના યુવાન – યુવતીઓ દ્વારા વરઘોડામાં ગરબા રમ્યા હતા.ત્યાર બાદ મોડી રાત્રે લાલજી મહારાજ સાથે પરીઓનો વરઘોડો કાછીયાવાડમાં લક્ષ્મીનારાયણ મંદિરે પરત ફર્યો હતો.




