– મુખ્યમાર્ગોના રસ્તાના ખાડાઓ મુદ્દે જિલ્લા કલેક્ટર કચેરી બહાર સૂત્રોચ્ચાર કરી રસ્તા પર બેસી
ભરૂચ,
ભરૂચ શહેરમાં આજે આમ આદમી પાર્ટીના આગેવાનો તથા કાર્યકરો દ્વારા શહેરના રસ્તાઓની ખરાબ હાલતને લઈને જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની આગેવાની હેઠળ કાર્યકરોએ જિલ્લા કલેક્ટર કચેરી બહાર સૂત્રોચ્ચાર કરી માર્ગ પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો.બાદમાં પોલીસે મધ્યસ્થી કરી કાર્યક્રમને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કર્યો હતો.
શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ પર પડેલા ખાડાઓને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રાફિકમાં વિઘ્ન અને વાહનોને નુકસાન થવાને કારણે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
આ મુદ્દે જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું કે હાલ વહીવટી તંત્ર દબાણ હટાવવાની ઝુંબેશ ચલાવી રહ્યું છે જે યોગ્ય છે.પરંતુ પ્રથમ પ્રાથમિકતા રસ્તાઓની મરામત થવી જોઈએ. “ખાડાઓથી લોકોને તકલીફ પડે છે તે તંત્રને નથી દેખાતું, પરંતુ ગરીબોના દબાણો હટાવવા પર જ ભાર મુકાઈ રહ્યો છે. જો દબાણ હટાવવું હોય તો મોટા લોકોના દબાણો હટાવો,” એમ તેમણે કટાક્ષ કર્યો હતો.સાથે જ તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે, જો તંત્ર તાત્કાલિક રીતે માર્ગોની યોગ્ય મરામત નહીં કરે તો આગમી દિવસોમાં વધુ કડક કાર્યક્રમ હાથ ધરવામાં આવશે.







