ભરૂચ,
વાગરા તાલુકાના વિલાયત અને દેરોલને જોડતા મુખ્ય માર્ગ પર ધૂળ અને પ્રદૂષણની સમસ્યાને લઈને મીડિયામાં સમાચાર પ્રકાશિત થતાં જ આખરે તંત્ર હરકતમાં આવ્યું છે.લોકોની સતત ફરિયાદો અને વાહનચાલકોની હાલાકીને ઉજાગર કરતા અહેવાલોના પગલે તંત્રએ તાત્કાલિક અસરથી માર્ગ પર પાણીનો છંટકાવ શરૂ કરાવ્યો છે.આ મુખ્ય માર્ગ પરથી પસાર થતાં વાહનોને કારણે ઉડતી ધૂળથી આસપાસના રહેવાસીઓ અને વાહનચાલકો ભારે પરેશાન હતા. ખાસ કરીને ભારે વાહનોની અવરજવરને કારણે સમગ્ર વિસ્તાર ધૂળની ડમરીઓથી ઢંકાઈ જતો હતો. જેનાથી શ્વાસ સંબંધિત રોગોનું જોખમ પણ વધ્યું હતું. મીડિયા દ્વારા આ સમસ્યાને લઈને વારંવાર એહવાલ પ્રકાશિત કરવામાં આવ્યા હતા. અને તાજેતરમાં જ આ અંગે વિસ્તૃત અહેવાલ પ્રસારિત થયો હતો. આ અહેવાલની ગંભીર નોંધ લઈને સંબંધિત વિભાગે પ્રદૂષણ ઘટાડવા અને લોકોને રાહત આપવા માટે તાત્કાલિક પગલાં લીધા છે. પાણીના છંટકાવને કારણે હાલ પૂરતી ધૂળની સમસ્યામાં રાહત મળી છે. જેનાથી રાહદારીઓ અને વાહનચાલકોએ હાશકારો અનુભવ્યો છે. જોકે સ્થાનિકોની માંગ છે કે, આ માત્ર કામચલાઉ નહીં પણ કાયમી ઉકેલ લાવવામાં આવે. જેથી વારંવાર થતી આ હાલાકીમાંથી મુક્તિ મળે. તંત્ર દ્વારા આ રીતે મીડિયાના અહેવાલો પર ત્વરિત કાર્યવાહી કરવા બદલ લોકોએ સંતોષ વ્યક્ત કર્યો છે.




