(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી મહિલા સશક્તિકરણની દિશામાં આગવી પહેલ કરીને ભાવનગરના જવાહર મેદાન ખાતે તા. ૯ થી ૧૨ માર્ચ સુધી યોજાનાર “નમો સખી સંગમ મેળા” નો પ્રારંભ ગ્રાહક બાબતો,ખાદ્ય અને જાહેર વિતરણના કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો હતો.
ભાવનગરના ખાતે ચાર દિવસીય નમો સખી સંગમ મેળાનો શુભારંભ કરાવતાં કેન્દ્રિય મંત્રી નિમુબેન બાંભણીયાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કાર્યરત માત્ર સ્થાનિક આદિવાસી મહિલાઓ સંચાલિત પિંક ઈ-રિક્ષા ચાલક બહેનોનું સન્માન કર્યું હતું.
વર્ષ ૨૦૨૧ માં ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના અવસરે એકતા નગરને ભારતનું સર્વપ્રથમ સંપૂર્ણ ઈ-વાહન ધરાવતું શહેર બનાવવાની નેમ વ્યક્ત કરી હતી અને તેજ વર્ષે તેમના અમૂલ્ય માર્ગદર્શન હેઠળ નારીશક્તિને રોજગારીની અમૂલ્ય તક સમાન અને મહિલા ઉત્થાનના સર્વશ્રેષ્ઠ કાર્ય સમાન માત્ર સ્થાનિય આદિવાસી મહિલાઓ સંચાલિત પિંક ઈ-રિક્ષાની સેવાઓનો પ્રવાસીઓની સેવા માટે પ્રારંભ કરાવ્યો હતો, આજે આ પિંક ઈ-રિક્ષાની સમગ્ર ભારતમાં નહિ પરંતુ સાત સમુંદર પાર સુધી વિશ્વના ખૂણે ખૂણે જાણીતી બની છે.
આ યોજના અમલમાં લાવતા પહેલા પ્રધાનમંત્રીના સ્વપ્ન “સ્કિલ ઇન્ડિયા” હેઠળ મહિલાઓને રીક્ષાચાલનની વિધિસરની તાલીમ આપવામાં આવી હતી, આજે એકતા નગરમાં ૭૦ કરતા વધુ ઈ-રિક્ષાઓનું નારીશક્તિ દ્વારા સંચાલન થાય છે.મહિલાઓ આજે આ પ્રવૃત્તિ થકી આત્મનિર્ભર બની છે અને સમાજ અને દુનિયાભરમાં આજે પોતાનું આગવું સ્થાન ઉભું કર્યું છે.આ સાથે એકતા નગરની નારીશક્તિ નૈતિકતા,માનવતા અને ઈમાનદારી બતાવતા સેંકડો પ્રવાસીઓને તેમની અમૂલ્ય અને કિંમતી ચીજવસ્તુઓ જે ભૂલી ગયા હોય તેમને પરત પણ કરતા રહ્યા છે.મહિલાઓને રિક્ષાચાલન સાથે પ્રવાસીઓને માર્ગદર્શિત કરી શકે તે માટે ગાઈડની તાલીમ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી આપવામાં આવી છે.સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેન મુકેશ પૂરી અને મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરાના માર્ગદર્શનમાં અધિક કલેકટર ગોપાલ બામણીયા અને નાયબ કલેકટર ડૉ.પંકજ વલવાઈ દ્વારા સતત આ નારીશક્તિને આગળ વધવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.
અત્યાર સુધી લાખો પ્રવાસીઓએ વિશ્વસનીયતા ના પ્રતીક સમાન ઈ-રિક્ષામાં પ્રવાસ કરીને એકતા નગરની સફર કરી છે અને દેશ-દુનિયાના અગ્રણીઓ પણ જ્યારે એકતા નગરના પ્રવાસે આવે ત્યારે અચૂક પિંક ઈ-રિક્ષાની સવારી માણી નારીશક્તિને પ્રોત્સાહન આપવાનું સદકાર્ય કર્યું છે, જે પૈકી માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ,ભારતના વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર ભારતના કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ,વિખ્યાત અભિનેતાઓ સર્વ અક્ષય કુમાર,આમિર ખાન,વિદેશી રાજદૂતો સહિતના કેન્દ્રીય અમે રાજયના મંત્રીઓએ આ સફર કરી છે.
આ અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ ના અધિક કલેક્ટર ગોપાલ બામણીયાએ જણાવ્યું હતું કે, ઈ-રિક્ષા ચાલક નારીશક્તિ ભાવનગર ખાતે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના હસ્તે સન્માન એ સૌ માટે ગૌરવ સમાન છે, આજના આધુનિક યુગમાં બહેનો ઘરમાંથી બહાર નીકળી ઈ-રિક્ષાના માધ્યમથી પગભર બની આત્મનિર્ભર એકતા નગર થી આત્મનિર્ભર ભારતના સ્વપ્નને પૂર્ણ કરવા નીકળ્યા છે ત્યારે આગામી સમયમાં સફળતાના ઉચ્ચ શિખરો આ નારીશક્તિ સર કરે તેવા સક્રિય પ્રયત્નો સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળ દ્વારા કરવામાં આવશે.આ કાર્યક્રમમાં ભાગ લેવા ગયેલા ઈ-રિક્ષા ચાલક બહેનોએ ભાવનગરના જિલ્લા વિકાસ અધિકારી અને નર્મદા જિલ્લાના તત્કાલીન પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર હનુલ ચૌધરી સાથે મુલાકાત કરી હતી.ચૌધરીએ નર્મદા જિલ્લાના કાર્યકાળ દરમ્યાન ઈ-રિક્ષાની સફર યાદ કરીને બહેનોને અભિનંદન પાઠવ્યા હતા.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is