ભરૂચ,
ભરૂચ જંબુસર માર્ગ જાણે અકસ્માત ઝોન બની રહ્યું તેમ લાગી રહ્યું છે.એક બાદ એક અકસ્માતોની ઘટના સામે આવી રહી છે.જેમાં અનેક નિર્દોષ લોકો મોતને ભેટી રહ્યા છે.ગત રાત્રીના સમયે આછોદ નજીક સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત નિપજ્યું હતું.ત્યાર બાદ આજરોજ સવારે ૯ વાગ્યાના અરસામાં પણ નાહીયેર નજીક લકઝરી બસ અને રીક્ષા વચ્ચેની ટકકરમાં એકનું મોત નિપજવા પામ્યું હતું.ત્યારે બે કલાકના ટૂંકા સમયગાળા દરમ્યાન જ વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે.
બનાવ અંગે મળેલી માહિતી પ્રમાણે વાગરા-જંબુસર રૂટ ઉપર પેસેન્જરમાં ફરતી રિક્ષાને અકસ્માત નડ્યો હતો. રીક્ષા ચાલક જંબુસર તરફથી પેસેન્જ ભરીને આમોદ તરફ આવી રહ્યો હતો.તે દરમ્યાન ડિસેન્ટ હોટલ નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે રિક્ષાને ટક્કર મારી હતી.જેથી રિક્ષા પેસેન્જર સમિત રોડની સાઈડમાં ખાબકી હતી.ઘટનામાં રિક્ષામાં સવાર મુસાફરોને ઇજાઓ પહોંચી હતી.ઘટનાની જાણ થતાંજ આમોદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરીમાં જોતરાઈ હતી.પોલીસે તમામ ઈજાગ્રસ્તોને સુરક્ષિત રીતે બહાર કાઢી આમોદ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડયા હતા.ઘટનાને પગલે આમોદ-જંબુસર માર્ગ ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા.પોલીસે ટ્રાફિક નિયમન કરી માર્ગ ખુલ્લો કરાવ્યો હતો. જોકે સદ્દનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહીં નોંધાતા પોલીસ સહિત ઉપસ્થિત સૌ કોઈએ રાહત અનુભવી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is